જીવી ન શકતો માનવી આટઆટલા ઉત્પાત મચાવે છે તો એને હજાર વર્ષ ક્યાં જિવાડવો? જેમ છે એમ જ રહેવા દે ને, ભાઈ!
મુસાફર : માનવજાત તમને...બહુ ગમતી હોય એમ લાગતું નથી.
અધિષ્ઠાત્રી : નથી પણ ગમતી, અને ગમે છે પણ ખરી. આ નવલખી વાવની પાછળ કેટકેટલા માનવહાથ કામે લાગેલા હું જોઈ શકું છું. યોજકો, શોધકો, સ્થપતિઓ, કલાકારો, કારીગરો, મજદૂરો, પાણીપરખનારાઓ, ધનિકો; કેટકેટલા ભેગા મળ્યા ત્યારે આ વાવ તૈયાર થઈ. એમાંથી કોઈએ તેરસો વર્ષ જીવવાની ઈચ્છા ન કરી; છતાં એમનું સત્કાર્ય સદીઓ સુધી જીવંત છે...આજ સુધી.
મુસાફર : સાચું, મને કોઈએ કહ્યું કે આ વિશાળ રાજમહેલના આખા બગીચાઓને એ વાવનું પાણી જીવંત રાખે છે.
અધિષ્ઠાત્રી : તું તો આ રાજમહેલને જ જુએ છે. હજી એ સદી જૂનો પણ નથી. જ્યારે મારી આંખે નિહાળેલી તેરચૌદ સદીઓમાં કૈંક યુદ્ધો થયાં, કૈંક દુષ્કાળના ઓળા ફરી વળ્યા, અને કૈંક આસમાની-સુલતાની મેં અનુભવી; છતાં આ વાવના પાણીએ દુષ્કાળની ધરી ઝીલી અનેક માનવીઓને અને પશુઓને જીવતાં રાખ્યાં છે, નાસતા-ભાગતા માનવીઓની તૃષા છિપાવી છે, અને બળબળતા તાપમાં પક્ષીઓને અને માનવીઓને ટાઢક આપી જિવાડ્યાં છે. માનવી બહુ લાંબું જીવે એના કરતાં વધારે સત્કાર્યો કરે તે વધારે સારું, નહિ ?
મુસાકર : સાચું કહ્યું આપે. આ વાવ બનાવનારનું નામ આપણે નથી જાણતા. પણ તેથી શું થયું? એનું કામ આજે પણ જીવંત છે ને ? આપણે કામ સાથે કામ; નામને શું કરવું છે ? નામ તેનો નાશ...