લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૮]

અભિનય, મૂક દૃશ્ય રંગભૂમિ ઉપર ઉતારી પ્રસંગના નાટ્યભાવને પોષવા નેપથ્યે અપાતાં વિવેચન, સમજૂતી, અભિનય વાણી દ્વારા સ્પષ્ટ કરવાના પ્રયોગો પશ્ચિમમાં તેમ જ પૂર્વમાં – આપણે ત્યાં પણ – થઈ રહ્યા છે. બેલે, ઑપેરા, ટૅબ્લો વગેરે પ્રકારોને આપણી અનુકૂળતા પ્રમાણે આપણે લઈ રહ્યાં છીએ, અને એમાં છેક અસફળતા મળી નથી.

ધ્વનિનાટિકાને–રેડિયોનાટિકાને આ ઢબે રંગભૂમિ ઉપર મૂકવાની સારી શક્યતા મને દેખાઈ છે. પ્રસંગનો સ્ફોટ કરતું વિવેચન આકાશવાણીમાં ભજવાતાં નાટકોમાં ઉપયોગી થઈ પડે છે; એ વિવેચન પ્રસંગોને, ધ્વનિને, વાતચીતને અર્થ અને સમજૂતી આપે છે. એ જ કાર્ય રંગભૂમિ ઉપર વિવેચનને સોંપતાં કેટલાંક સુંદર અભિનયદૃશ્યો સાર્થ અને રસમય બની શકે એમ છે. ધ્વનિ અને દૃશ્યના સંયોગીકરણનો અખતરો કેટલો સફળ થાય છે એ નાટ્યરસિકો અનુભવી શકે એ માટે બંને ધ્વનિનાટિકાઓ આ સંગ્રહમાં ઉતારી છે. ‘નવલખી વાવ’માં પ્રાચીનતાને પ્રગટાવવાનો પ્રયત્ન છે. ‘હે રામ!’ ગાંધીજીને સ્મરણાંજલિ આપતું રૂપક છે. એ મહાત્માની ભવ્યતાથી આપણે એટલા વ્યાપ્ત છીએ કે એ નથી એ ભાવ ઉપજાવવો મુશ્કેલ બની રહે છે. એટલે માત્ર તેમના અંતિમ ઉદ્‌ગારને જ અહીં ઉતારી, રૂપકને એ ઉદ્‌ગારનું જ નામ આપી, ગાંધીજી વગરનું છતાં ગાંધીજીથી વ્યાપ્ત રૂપક મારી નિર્બળ વાણીમાં મૂક્યું છે. ગાંધીજીના વિવિધ સમયના પહેરવેશવાળી છબીઓ અગર સ્વાંગ જે હવે શક્ય બનવા માંડ્યાં છે તેમનો ઉપયોગ એ નાટિકામાં થઈ શકે.

નાટકો વિષે મારે આથી બીજું કાંઈ કહેવાનું ન હોય–મારાં નાટકો વિષે તો કાંઈ નહિ જ.

કદી કદી ભજવવા માટે પરવાનગી માગતા પત્રો ઉપરથી એમ લાગે કે મારાં નાટકો તરફ સહજ કોઈની નજર જાય છે ખરી,