નાગાજણ ગઢવી
મોટાં રાજરજવાડાંમાં પણ એ જાણીતો ને માનીતો થઇ પડ્યે એની સલાહો પૂછાવા લાગી.
'આઇ !' ગામગામનાં લોક નાગબાઇ પાસે આવીને વધાઇ દેવા લાગ્યા. 'આ તો ભારી મેળ મળ્યો: ગંગાજળિયો રાજા ને દેવી-ઘરનો ચારણ. આમાં તો દેશનું કલ્યાણ છે.
'તો સારૂં બાપ!' એટલું બોલીને આઇ ચૂપ રહેતાં. એને કદી આ સંબંધનો પોરસ આવ્યો નહિ. એના ઉમળકા બહાર દરશાણાં નહિ. એની આપદા પણ બહાર નીકળી નહિ. એણે અસલની રીતભાત પણ છોડી નહિ. ઢોર-માલ ઘોળીને એ પોતે જ પાણી પાઇ આવતાં. છાણ વાસીદું પણ એ જાતે જ કરી લેતાં. નાગાજણે ઘણી ઘણી માથાકૂટ કરી કે હવે આ અવસ્થાએ શા સારૂ વળગણ રાખો છો? કાં માલ ઓછો કરી નાખો, ને કાં હું માણસો રાખી દઉં.
'ના બાપ ! એમાં ક્યાં ઘસાઇ જાયેં છયેં? ને ઢોર કાંઇ પારકાં માણસ હથુ મૂકાય ? એ તો જીવતાં જીવ છે. કુટુંબીઓ છે. છોરૂડાં છે ઘરનાં.'
'આઇ ! એક ખાનગી વાત પૂછવાનું મને રા'એ કહ્યું છે.' નાગાજણે એક રાતે નાગબાઇને એકાંતે જણાવ્યું.
'પૂછોને બાપ!'
'હાથીલાના હમીરજી ગોહિલની તો તમને સાંભરણ ને?'
'તલે તલ યાદ. એને સોમનાથ જઇ મરશીયા સંભળાવનાર જ મારી બેન.'
'એનો વીવા થયેલો ખરો?'