નાગાજણ ગઢવી
'આશા નથી બાપ ! કરી જુવો. પણ અમદાવાદમાં કોક ચાડી ખાશે તો?'
'હા, એ વિચારવા જેવું.' થોડીવાર રહીને નાગાજણે બીજી વાત પૂછી: 'આઇ, રા'ને વરસ ઊતરતાં જાય છે.'
'હા બાપ, આયખું તો કોનું બેઠું રહે છે?'
'વાંસે પીંડ દેતલ કે વંશ રાખતલ કોઇ નથી.'
'બાપ,' આઇ હસ્યાં. 'એ વાતનો ઇસારો ય આપણાથી ન કરાય. રાજાને એવું ઓસાણ દેવું ઠીક નહિ.'
'પણ કુંતાદેએ પોતે જ કાકલૂદી મોકલી છે કે રા' ફરી પરણે.'
'એવી સુજાણ થઇને?'
'સ્ત્રીનું ખોળીયું છે ના!'
'એને આ મમત મૂકી દેવાનું મું વતી ભણજે ભા!'
'પોતે તો મમતે ચડ્યા છે કે પોતાના પ્રારબ્ધમાં છોરૂ ન હોય તો રા'ને બીજું ઘર કરાવવું.'
'અરે અસ્ત્રી ! અરે અભાગી જાત અસ્ત્રીની!'
નાગબાઇની નજરમાં ચાલીશ વર્ષનો ભૂતકાળ તરવરી ઊઠ્યો. એ ગંભીર સાદે બોલ્યાં, 'તું કહેછ ને બાપ, કે રા' તો જ્ઞાની છે!'
'હમીરજીનો દીકરો દીઠા પછી એના અંતરમાં શેર માટીની ઝંખના ઉપડી છે.'
'કોના સારૂ ! કયા ભવ સારૂ ! કયો વારસો સોંપી જવા સારૂ!'