પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છવીસમું

૨૦૦

'હા મહારાજ.'

ત્યાં તો નવા સૂર ઉપડ્યા. પરોડનું પદ્મ ઊઘડતું હતું તેમ સૂરોની પણ પાંખડીઓ ખુલતી હતી.

'એ જી વાલા ! ગલ રે ફુલન ફેરો હારલો
ગૂંથી લાવોને વેલો,
માંડળિક મુજને મારશે રે
રવિ ઊગ્યા પેલો
વાલા હારના સાટુ.....

રા'ને વિસ્મય થયું :'આ કેદારો રાગ ક્યાંથી ? નરસૈયાએ ઘરેણે મૂકેલો કેદારો કોણ છોડાવી લાવ્યું ? આ કેદારો જેમ જેમ ગવાતો જાય છે તેમ તેમ મારો પ્રાણ ગભરાટ કેમ અનુભવે છે ? મનમાં મુંઝારો કેમ થાય છે ? એલા દોડો, કોઇક એને કેદારો ગાતો બંધ કરો. એને મોંયે હાથ દાબી વાળો. એ કેદારો ગાય છે ને મને થાય છે કે મારો ઊપરકોટ ને ગરવો પહાડ ક્યાંઇક ઓગળી જશે. એલા કોઇ સાંભળતા કેમ નથી ? ઝટ નરસૈયાને કેદારો ગાતો અટકાવો.'

પહેરગીરોને પૂરી સમજ પડે તે પૂર્વે તો રા' પોતે અણવાણે પગે ને અધૂરે લૂગડે બંદીવાસ તરફ દોડ્યો. ત્યાં જઇ એ પણ સ્તબ્ધ ઊભો રહ્યો. ને કેદારાના સૂર વણથંભ્યા વહેતા રહ્યા -

એ જી, વાલા, અરધી રજની વહી ગઇ
હાર કેમ ન આવ્યો,
દેયું રે અમારી દામોદરા !
બંધીવાન બંધ છોડાવો...
વાલા હારના સાટુ નવ મારીએં.

એકલો બેઠો બેઠો નરસૈયો ગાતો હતો. પાસે તંબૂર નહોતો, કરતાલ