પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૫

સુલતાનનો મનસૂબો

ઉઝેરવા રૈયતમાં ઉત્સાહ પ્રગટ્યો. પાંચ કોસ લાંબો પહોળો ફિરદોસ બાગ અમદાવાદની પૃથ્વીના લીલુડા કમખા સરીખો પથરાઇ ગયો.

કસ્બે કસ્બે જુવાન સુલતાનની સવારી નીકળી. પંથે પંથે એણે ફળફૂલનાં ઝાડનો શોખ વેર્યો. ને જ્યાં જ્યાં એણે ગામની કોઇ દુકાન કે ઘર ખાલી અથવા ઉજ્જડ પડેલું જોયું ત્યાં ત્યાં એનો ઘોડો ઊભો રહ્યો, એની આંગળી ચિંધાઇ, એણે અધિકારીઓને પહેલો પ્રશ્ન હંમેશાં એ જ પૂછ્યો 'આ ઉજ્જડ કે ખાલી બનવાનું કારણ?'

'બાપ મરી ગએલ છે. છોકરાં નાનાં છે.'

'મદદ આપો. એના ઉમરવાન સગાને એની સાથે રહી વેપાર કરવા કહો. રાજ મદદ આપે છે.'

જ્યાં જ્યાં સુલતાન વિચર્યા ત્યાં ત્યાં આવાં વેરાન પડેલાં સ્થાનોનો એણે દિવસ વાળ્યો. એણે કહ્યું :'એક પણ ખાલી મકાન મને ભયંકર ભાસે છે.'

ઠેર ઠેર એણે લશ્કરની હાલત તપાસી. 'સિપાહીઓ કેમ કંગાલ બન્યા છે ?'

'કરજવાન બની વ્યાજખાઉઓના સિતમો તળે ચગદાયા છે.'

'લશ્કરીઓને ફરમાન સંભળાવો કે ખબરદાર, બહારનું કરજ કરે નહિ. ગૂજરાતની મહેસૂલનો એક ભાગ અલાયદો પાડો, ને તેમાંથી લશ્કરીઓને જરૂર પડતાં ધીરો, પાછું તેની જાગીર પરથી વગર વ્યાજે વસૂલ કરો. વ્યાજખોરો તો કુત્તા છે. તેમનાથી છેટા રહે લશ્કરીઓ !'

પોતે જ્યાં જ્યાં ગયો ત્યાં સૈન્યના સિપાહીઓનાં પત્રકો તપાસ્યાં. અનેકના નામ પરથી જાગીરો રદ થયેલી જોઇ કારણ પૂછ્યું. ખુલાસો