માંડાળિકનું મનોરાજ્ય
પરદેશી સાંઈની જેમ કોઢ પીતની ઔષધિ ગોતવાનું ન સૂઝ્યું? આપણા બ્રાહ્મણોને દામાકુંડની દક્ષિણા ઊઘરાવતાં જ આવડ્યું કે બીજું કાંઈ?"
"પારકા પરદેશમાં પેસવાની વિદ્યા આવડવી જ જોવે તો બાપુ!"
"એમ કેમ મર્મમાં બોલો છો વીશળ કામદાર?"
"ના, સવળું જ બોલું છું મહારાજ ! આ ફકીર તો ઘેર ઘેર ઘોડીયાં બંધાવવામાં ય પાવરધો છે."
"આપણા જોગી જતિઓએ ને બ્રાહ્મણોએ જ લોકોને એ ચાળે ચડાવ્યાં છે ને? મેં તો સાંભળ્યું છે કે તમારે ત્યાંથી ય શેર માટીની ખોટ પુરાવવા સાંઈને મલીદો પહોંચ્યો છે."
સાથી ચૂપ રહ્યો.
"કેમ સાચું ને કામદાર?" એમ બોલતો યુવાન થોડું હસ્યો.
"ઠીક છે મહારાજ ! એ બધી વાતો તો જાવા દઈએ, બાકી આપણે પરદેશીઓથી સંભાળવું."
"હું તો કહું છું કામદાર, કે આપણે આપણી જાતથી સંભાળવું. જો ફોડકી થાય તો માખી બેસે ને?"
દામાકુંડથી આણેલા પાણીનું માથાબોળ સ્નાન કરીને આ જુવાન જ્યારે ઉપરકોટના રાણીવાસની અટારી ઉપર ચડવા લાગ્યો ત્યારે નગારે દાંડી પડી, શંખ ફુંકાયા, અએ છડીદારે નકીબ પોકારી "ઘણી ખમ્મા સોરઠના ધણી ગંગાજળીયા રા' માંડળિકને"
ઓરડા પછી ઓરડા ઓળંગતો એ ત્રિપુંડધારી જુવાન અંતઃપુરમાં દાખલ થતો હતો ત્યારે એની બે ય બાજુએ ઊભેલી વડારણોની હારમાંથી