માંડાળિકનું મનોરાજ્ય
"ક્યાં?"
"સોમૈયાની સખાતે."
એ નામ કાને પડતાંની વારે જ ત્યાં ભોળું થયેલું ગામ તેતરનો ઘેરો વીંખાય તેમ વિખરાઈ ગયું. બુઢ્ઢી ચારણી એકલી પોતાના ફળીમાં ઊભી ઊભી આ જુવાનનએ જોઇ રહી. 'તું ! તું એકલ ઘોડે ! સોરઠ બાધી ય બ્હીને ઘરમાં બીઠલ છે, તે ટાણે તું એકલો? મા, બાપ, બેનડી, ભાઇ, ભોજાઇ, કે ચૂંદડિયાળી રજપૂતાણી, કોઇ કરતાં કોઇએ તુંને રોક્યો નહિ?'
'રોકનારૂં કોઇ નથી. હોત તો યે જનારને રોકનાર કોણ? આઇ ! ઝટ મને મારા મરસિયા સંભળાવો. મને મોત મીઠું લાગે એવું કરો. મારે ને સોમૈયાને છેટું પડે છે મા!'
'પણ તું કોણ છો?'
'ગોહિલ છું.'
'ગોહિલ ? મોરલીધરનો ઉપાસી તું મહાદેવને કારણ મરવા જાછ?'
'હું શાસ્તર ભણ્યો નથી આઇ! દેવ દેવ વચ્ચેના ભેદનો ભરમ મેં જાણ્યો નથી. જાણીને કરવું છે ય શું?'
'કયું ગામ તારું?'
'હાથીલાનો હું ફટાયો : નામ હમીરજી.'
'ભીમજીનો પુતર?'
'હા મા, મારા મરસિયા ભણો.'
ચારણી થોથરાઇ.