પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક વખત મનનો સંકલ્પ થઈ જાય પછી આ ક્રાંતિનું કામ સહેલું છે. તેથી મહાસભાવાદીઓ તે ક્રાંતિની શરૂઆત પોતાના ઘરથી કરે. પોતાની ધણિયાણીઓને મનરમાડો કરવાની ઢીંગલીઓ કે ભોગવિલાસનું સાધન માનવાને બદલે તેમણે સેવાનાં સમાન કાર્યોમાં સમાન સાથીઓ ગણવી. આટલા ખાતર જે સ્ત્રીઓને શાળા કે કૉલેજની કેળવણી મળી નથી તેઓ બની શકે તેટલું શિક્ષણ પોતાના પતિ પાસેથી મેળવે. જે વાત પત્નીઓની તેવી ઘટતા ફેરફારો સાથે માતાઓની ને દીકરીઓની સમજવાની છે.

એ જણાવવાની જરૂર નથી કે હિંદની સ્ત્રીઓની લાચાર દશાનું મેં એક જ બાજુનું ચિત્ર દોર્યું છે. હું એ વાત બરાબર જાણું છું કે ગામડાઓમાં સ્ત્રીઓ પોતાના પુરુષવર્ગની સામે બરાબર ટક્કર લે છે અને કેટલીક બાબતોમાં તો તેમના પર સરસાઈ ભોગવે છે, ને દોર ચલાવે છે. પણ બહારથી આપણને જોનાર કોઈ પણ તટસ્થ માણસ કહેશે કે આપણા આખા સમાજમાં સ્ત્રીને કાયદાથી ને રૂઢિથી જે દરજ્જો મળે છે તે ઘણી ખામીવાળો છે અને તેમાં ધરમૂળથી સુધારો કરવાની જરૂર છે.

૧૦. તંદુરસ્તીના નિયમોની કેળવણી

રચનાત્મક કાર્યક્રમમાં ગામસફાઇને સમાવ્યા પછી તંદુરસ્તીના નિયમોની કેળવણી અલગ ગણવાની શી જરૂર પડી એવો સવાલ સહેજે થાય. ગામસફાઇની સાથે જ એને પણ ગણી લેવાત, પણ મારે રચનાત્મક કાર્યનાં જુદાં જુદાં અંગોને ભેળસેળ કરી દેવાં નહોતાં. કેવળ ગામસફાઇની બાબત ગણાવવાથી તેમાં તંદુરસ્તીના નિયમોની કેળવણીની બાબત સમાઇ જતી નથી. પોતાના શરીરને સાચવવાની આવડત, અને તંદુરસ્તીના નિયમોનું જ્ઞાનએ અભ્યાસ તમેજ તેનાથી મળેલા જ્ઞાનના અમલનો જુદો જ વિષય છે. જે સમાજ સુવ્યવસ્થિત છે તેમાં સૌ શહેરીઓ તંદુરસ્તીના નિયમોને જાણે છે ને તેમનો અમલ કરે છે. હવે તો એ વાત નિર્વિવાદ સાબિત થઇ છે કે તંદુરસ્તીના નિયમોનું અજ્ઞાન અને તે નિયમોને પાળવાની બેદરકારી એ બેમાંથી જ માણસજાતને જે જે રોગો જાણીતા થયેલા છે તેમાંના ઘણાખરા થાય