પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે બધા અહિંસા શું છે, શા માટે તેનો અમલ કરવાનો છે ને તે કેમ કાર્ય કરે છે એ બધી બાબતો વિશે જાગતા રહીને ચીવટથી શોધ ચલાવે ને તેનાં કાર્યકારણો વિચારે. આજની સમાજવ્યવસ્થામાં માણસ માણસ વચ્ચે જાતજાતની જે અસમાનતાઓ હયાતીમાં છે તે હિંસાથી નાબૂદ થાય કે અહિંસાથી એ સવાલનો પણ તે બધા વિચાર કરે. મને લાગે છે કે હિંસાનો રસ્તો કેવો છે તે આપણે જાણીએ છીએ. તે રસ્તે સમાનતાની બાબતમાં ક્યાંયે સફળતા મળેલી જાણવામાં નથી.

અહિંસાથી સમાજમાં ફેરફારો કરવાનો પ્રયોગ હજી ચાલુ છે ને તેની વિગતો ઘડાય છે. તે પ્રયોગમાં સીધું બતાવી શકાય તેવું ઝાઝું આપણે કર્યું નથી. પરંતુ ગમે તેટલી ધીમી ગતિથી કાં ન હોય પણ તે પદ્ધતિનું કાર્ય સમાનતાની દિશામાં શરૂ થઈ ચૂક્યું છે એ વાત ચોક્કસ છે. અને અહિંસાનો રસ્તો હૃદયપરિવર્તનનો રસ્તો છે એટલે જે ફેરફાર થાય તે કાયમનો થાય. જે સમાજ કે રાષ્ટ્રનું ચણતર અહિંસાના પાયા પર થયેલું હોય તે પોતાની ઇમારત પર બહારથી કે અંદરથી જે હુમલા થાય તે બધાને પહોંચી વળવાને સમર્થ હોય. રાષ્ટ્રીય મહાસભામાં પૈસાવાળા મહાસભાવાદીઓ પણ છે. આ વિષયમાં પહેલું પગલું ભરીને રસ્તો તેમણે બતાવવાનો છે. એકેએક મહાસભાવાદીને પોતાના દિલનું ઊંડામાં ઊંડા ઊતરીને અંગત પરીક્ષણ કરવાની તક આપણી આ સ્વરાજની લડત પૂરી પાડે છે. આપણી લડતને અંતે જે હિંદુસ્તાનની રચના આપણે કરવી છે તેમાં સમાનતાની સિદ્ધિ કરવી હોય તો તેનો પાયો અત્યારે જ નાખવો જોઈએ. જે લોકો એમ માનીને ચાલે છે કે મોટા મોટા સુધારાઓ તો સ્વરાજની સ્થાપના પછી થવાના છે અથવા કરવાના છે તે બધા અહિંસક સ્વરાજનું કાર્ય કેમ થાય છે તે સમજવાની બાબતમાં મૂળમાં જ ગોથાં ખાય છે. એ અહિંસક સ્વરાજ એક શુભ ચોઘડિયે આભમાંથી એકાએક ટપકી પડવાનું નથી. આપણા સૌની ભેગી જાતમહેનતથી એકેએક ઇંટને બરાબર ગોઠવતા જઈશું તો તેનું ચણતર થવાનું છે. એ દિશામાં આપણે સારી સરખી મજલ કાપી છે. પણ સ્વરાજની સંપૂર્ણ શોભા ને ભવ્યતાનું