પૃષ્ઠ:Rachanatmak Karyakram.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સવિનયભંગનું સ્થાન

આ પાનાંઓમાં મેં એમ જણાવ્યું છે કે રચનાત્મક કાર્યક્રમના અમલમાં આપણે આપણી આખી પ્રજાનો સહકાર મેળવી શકીએ તો શુદ્ધ અહિંસક પુરુષાર્થથી આઝાદી હાંસલ કરવામાં સવિનયભંગની લડતની જરૂર પડે જ એવું નથી. પણ શું વ્યક્તિ કે શું રાષ્ટ્ર કોઈનું એવું સારું નસીબ ભાગ્યે જ હોય. તેથી સમસ્ત રાષ્ટ્રવ્યાપી અહિંસક પુરુષાર્થમાં સવિનયભંગની લડતનું સ્થાન શું છે તે સમજી લેવાની જરૂર છે.

સવિનયભંગ ત્રણ જુદાં જુદાં કામ બજાવે છે:

૧. કોઈક એક સ્થાનિક અન્યાય કે ફરિયાદનું નિવારણ કરવાને સવિનયભંગની લડત પૂરેપૂરી કામ આવે.
૨. કોઈ એક ચોક્કસ અન્યાય કે ફરિયાદની કે અનિષ્ટની સામે તેને દૂર કરવાની બાબતમાં ખાસ કશી અસર પાડવાનો ઇરાદો રાખ્યા વિના તે અન્યાય કે ફરિયાદ કે અનિષ્ટનું સ્થાનિક પ્રજાને ભાન કરાવવાને અથવા તેના દિલ પર અસર કરવાને કુરબાની આપવાના આશયથી પણ કાયદાનો સવિનયભંગ થઈ શકે. મારા કાર્યની શી અસર થશે તેની ગણતરી કર્યા વિના અને લોકો કદાચ કશીએ લાગણી નહીં બતાવે તે હું બરાબર જાણતો હતો છતાં ચંપારણમાં મેં કાયદાનો સવિનયભંગ કરેલો તે આ જાતનો હતો. મારા કાર્યનું પરિણામ અણધારેલું જુદું આવ્યું તેને સૌ પોતાને રુચે તેમ ઈશ્વરની મહેરબાની કે નસીબનો ખેલ માને.
૩. રચનાત્મક કાર્યનો પૂરતો જવાબ ન મળે તો તેની અવેજીમાં ૧૯૪૧ની સાલમાં ઉપાડવામાં આવી હતી તે રીતે સવિનય કાનૂનભંગની લડત ઉપાડી શકાય. તે લડત આપણી આઝાદીની સળંગ લડતના ભાગ લેખે અને તેમાં ફાળો ભરવાના ઉદ્દેશથી ઉપાડવામાં આવી હતી