પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


લીલાવતી : તું એવા અપશબ્દ બોલનાર કોણ ?
જાલકા : તું મને તુંકારો કરનાર કોણ? હું પણ રાજાની રાણી છું. તારી નાની ઉમર જાણી ક્યારની સાંખી રહી છું.
લીલાવતી : મારી નાની ઉમરની તેં બહુ દયા ખાધી છે. હવે વધારે દયા ન ખાઈશ, પણ તારા પર દયા કરીને કહું છું કે તારે જીવતા રહેવું હોય તો આ મુલકમાંથી ચાલી જા.
જાલકા : મારો કોઈ વાંકો વાળ કરી શકે એમ નથી. હું રાજમાતા થઈશ ત્યારે મારી મહેરબાની માગવાનો તારે વખત આવશે, તે યાદ રાખજે.
લીલાવતી : ભૂખે અને તરસે મારો પ્રાણ જશે, પણ હું તારી મહેરબાની માગવાની નથી એ વિશે નિશ્ચિંત રહેજે. તારો પુત્ર રાજા થશે કે કેમ એ હું જાણતી નથી. પણ, તું તો રાણી મટી માલણ થઈ છે તે મરતા સુધી માલણ જ રહેવાની છે. મારું હૈયું તેં ભાંગ્યું છે તેવું તારું હૈયું પણ ભાંગજો.
[જાલકા ચકરી ખાઈ ભોંય પર પડે છે.]
 
કમલા : અહો ! ગઢ તૂટી પડ્યો!
સાવિત્રી : કમલા ! તું અને મંજરી એનું આશ્વાસન કરીને એને બહાર લઈ જાઓ, અને કોઈ જોડે ઘેર મોકલાવો.
[કમલા અને મંજરી જાલકાને પવન નાંખી ઊભી કરીને લઈ જાય છે.]
 
લીલાવતી : મેં એને કેવી ડામી !
સાવિત્રી : રાણી સાહેબ !

શાપ એ છે અનાચાર, શાપ દેવો ન કોઈને;
આઘાત થાય છે એથી ર્પભુના પ્રેમતંત્રને. ૬૨

લીલાવતી : એને શાપ ઘટતો નથી?
સાવિત્રી : એ મનુષ્યના અધિકારની વાત નથી.
૧૧૦
રાઈનો પર્વત