પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જગદીપ : બીજી વાર એ સુન્દરી જોઈ ત્યાર પછી હું મહેલને ચારે તરફ ફરી વળ્યો છે. પાંચ દિવસથી એ પ્રદક્ષિણા કરું છું. તરાપો બનાવી તે પર નદી ઓળંગી બન્ને પારના કોટના એકેએક દ્વાર આગળ વાટ જોઈ બેઠો છું, પણ કોઈ દ્વાર ઊઘડતું નથી ને કોઈ માણસ નીકળતું નથી કે પેસતું નથી. માત્ર અત્યારે કોટાનું આ મુખ્ય દ્વાર ઊઘડે છે, તેમાંથી અંદર રહ્યું રહ્યું કોઈ એક રાતી ગાયને બહર કાઢે છે ને એક રબારી બહારથી દરવાજા આગળ આવે એ ગાયને ચરાવવા લઈ જાય છે. સાંજે તે ગાયને પાછી દરવાજા આગળ લઈ આવે છે ત્યારે દરવાજો ઉઘડે છે. દરવાજા આગળ અંદરથી કોણ આવે છે તે જણાતું નથી, અને રબારી દરવાજાથી આઘો ઊભો રહે છે.
દુર્ગેશ : રબારી સવારે ક્યારે આવે છે ?
જગદીપ : હવે વખત થયો છે, અને તે જ માટે હું આ તરફ આવ્યો છું. સવારસાંજ દરવાજો ઊઘડતો જોવાનો સંતોષ મેળવું છું.
દુર્ગેશ : એથી કાંઈ વધારે સંતોષ મેળવવાનો માર્ગ કદાચ એ પ્રસંગે જડી શકશે.
જગદીપ : શી રીતે ?
દુર્ગેશ : એ યુવતીના દૃષ્ટિપાત અને સ્મિતનો જે વિભ્રમ તમે વર્ણવ્યો તે પરથી જણાય છે કે એનું હ્રદય તમારામાં આસક્ત થયું હોવું જોઈએ, અને એ પણ તમારા દર્શન માટે ઉત્કંઠિત થઈ હોવી જોઈએ.
જગદીપ : એવાં અનુમાન બાંધ્યાથી શું હાથમાં આવ્યું.
દુર્ગેશ : પ્રેમમાં પણ ધીરજ વિના ચાલે તેમ નથી. અનુમાન બાંધ્યાથી તો સ્વર્ગનો માર્ગ પણ હાથ લાગે છે. તમે
૧૨૨
રાઈનો પર્વત