પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


દેખું તેજ કાંઈ, પણ, ના રૂપરંગ,
ચાખું સ્વાદ કાંઈ, પણ ન રસનરંગ;
સૂંઘું ગંધ કાંઈ, પણ ન ઘ્રાણગ્રાહ્ય,
સૂણું શબ્દ કાંઈ, પણ ન શ્રોત્રશ્રાવ્ય. ૮૩

અડકું વસ્તુ કાંઈ, પણ ન તે ત્વચામાં,
વસું દેશ કાંઈ, પણ ન તે ધરામાં;
દિસે અંકુર નહિં, ફૂટતું કાંઈ લાગે,
દેહમાંથિ ભાગ કાંઈ આત્મ માગે. ૮૪

શું જગતના ભ્રમણનું કેન્દ્ર બદલાયું કે મારા પોતાના ચક્રનું કેન્દ્ર બદલાયું છે?

[લેખા નીકળીને પાસે આવે છે.]
 
લેખા : કુંવારીબા ! તમે આવા વિચાર કરો છો તે મને બીક લાગે છે.
વીણાવતી : કેવા વિચાર ?
લેખા : તમે બોલતાં હતાં તેવા. તમારે માટે મને ચિન્તા થવા માંડી છે, તેથી, મેં બારણાં પાછળ રહીને સાંભળ્યું.
વીણાવતી : મારે માટે શી બાબતને ચિન્તા થવા માંડી છે ?
લેખા : તે દિવસે હોડી ડૂબ્યા પછી પેલા કોઈ પુરુષે તમને પાણીમાંથી કાઢ્યાં ત્યારથી તમે બદલાઈ ગયેલાં છો.
વીણાવતી : મૃત્યુના આંગણામાં જઈને પાછી આવી તે એની એ ક્યાંથી રહું ?
લેખા : એ પુરુષનું તમને કાંઈ સ્મરણ રહ્યું છે ?
વીણાવતી : જેણે જીવિતદાન આપ્યું તેનું વિસ્મરણ શી રીતે થાય?
લેખા : સ્મરણ સાથે કાંઈ લાગણી મિશ્રિત થઈ છે ?
વીણાવતી : થઈ હોય તો શું ?
લેખા : માત્ર ઉપકારની કે તેથી વિશેષ ?
અંક છઠ્ઠો
૧૩૩