પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મૃત્યુથી તમે વિધવા થયાં, એ તમે હજી સમજ્યાં નથી?
વીણાવતી : હું વિધવા થઈ ? શી વાત કરે છે ? હું ક્યારે પરણી છું?
લેખા : તમને પરણાવ્યાં એટલે તમે પરણ્યાં જ ગણાઓ.
વીણાવતી : એ લગ્ન તો ફક્ત મારા માતાપિતાના લહાવાનું અને ગમ્મતનું હતું.
લેખા : અને , તોયે તે તમારું ખરું લગ્ન જ કહેવાય.
વીણાવતી : ખરું લગ્ન તો પ્રેમનું હોય છે !
લેખા : એ જ માટે કહું છું કે તમારાથી હવે પ્રેમ ન થાય. સ્ત્રીનો પ્રેમ એક જ પુરુષ માટે હોવો જોઈએ.
વીણાવતી : પણ, મેં ક્યારે પ્રથમ બીજા કોઈ પુરુષ માટે પ્રેમ કર્યો છે?
લેખા : તમારું લગ્ન થયું એટલે તમે પ્રેમ કર્યો જ કહેવાય. વિધવાથી પ્રેમ થતો હોય તો વિધવાથી લગ્ન ના થાય ? વિધવાના લગ્નની આપણાં શાસ્ત્રોમાં ના કહી છે.
વીણાવતી : શા માટે ના કહી છે ?
લેખા : વિધવા લગ્ન કરે તો પ્રેમની ભાવના ખંડિત થાય.
વીણાવતી : જેના પર મારો પ્રેમ છે તેની સાથે હું લગ્ન કરું તો પ્રેમની ભાવના પુષ્ટ થાય કે ખંડિત થાય ?
લેખા : પ્રેમનું સ્વરૂપ તો શુદ્ધ છે.
વીણાવતી : મારા પ્રેમમાં કાંઈ અશુદ્ધતા છે ?
લેખા : આ સ્થિતિ ન આવે તે માટે મહારાજે કરેલા સર્વ પ્રયત્ન નિષ્ફળ ગયા ?
વીણાવતી : મહારાજે શા પ્રયત્ન કરેલા ?
લેખા : આ માઠો બનાવ બન્યો તે વખતે એ વાત કોઈએ કહી નહિ, અને કહે તો તે વખતે તમે સમજો શું ? પછી મહારાજે આજ્ઞા કરી કે તમારી મોટી ઉમ્મર થાય ત્યાં સુધી તમને આ વાત કોઈએ કહેવી જ નહિ. વસતિમાં એવી ગુપ્ત વાત રાખવી કઠણ, તેથી
અંક છઠ્ઠો
૧૩૭