પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



મહારાજે તમને નગર બહારના આ એકાન્ત મહેલમાં મારી સંભાળ નીચે મૂક્યાં. પછી, મહારાજે ફરી લગ્ન કર્યું, અને વૈધવ્ય સહન કરવામાં તમને કંઇ કઠણપણું ન લાગે માટે મહારાજે આજ્ઞા કરી કે તમારા સંસ્કાર જ એવા કરવા કે વૈધવ્યની વાત જાણવાની વેળા આવે ત્યારે સંસારના વિષયોમાં તમારું ચિત્ત જઈ શકે જ નહિ. તમારા ચિત્ત આગળ પ્રેમનો વિચાર સરખો પણ આવે નહિ, એવી રીતે તમને કેળવણી આપવાની મને આજ્ઞા કરી. કોઈ પણ પુરુષ કે સ્ત્રી તમને મળે નહિ એવો બંદોબસ્ત કર્યો. અને, વધારે જાપતા માટે તથા લોકોનું કુતૂહલ અટકાવવા માટે તમારા મરણની ખબર ફેલાવી. અહીં જે થોડા નોકરો છે તે પણ તમે કોણ છો તે જાણતા નથી, અને અહીંથી બહાર જવાની તમને આજ્ઞા નથી.
વીણાવતી : આટલાં આટલાં રોકાણ અને દબાણ છતાં જે પ્રેમ સ્ફુરયો તેને હવે કયા બળથી પાછો કાઢવો ધાર્યો છે?
લેખા : પ્રેમનો પ્રતિબંધ ના થઈ શકે, તો પણ લગ્નનો પ્રતિબંધ થઈ શકે છે.
વીણાવતી : પ્રેમ અને લગ્નનો વિયોગ કરવો ઇષ્ટ છે? અને , લગ્ન તે લગ્ન કરવાની ઇચ્છાનો વિષય નથી ?
લેખા : મહારાજ કદી એમ બનવા દેશે નહિ.
વીણાવતી : લેખાં ! હવે તું કાંઈ વૃત્તાંત ગુપ્ત રાખી શકે એમ નથી. મહારાજા વિદેહ થયા છે, અને હવે મારું ભવિષ્ય મારે જ ઘડવાનું છે.
લેખા : ખરે ! અહીં કોઈનો પણ સંચાર થયો છે ?
વીણાવતી : પ્રેમે જેને માટે આ વાડીના બંધ દ્વાર તોડ્યાં છે તેનો જ પગસંચાર થયો છે. લેખા ! તું ગભરાઈશ નહિ. હવે બધી જવાબદારી મારે માથે છે.
૧૩૮
રાઈનો પર્વત