પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અંક સાતમો
પ્રવેશ ૧ લો
સ્થળઃ વીણાવતીના મહેલથી કનકપુર જવાનો માર્ગ.
[જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે]
દુર્ગેશઃ એમાં કોઇ સંદેહને અવકાશ જ નથી. રાજપુરુષો અને પ્રજાના અગ્રેસરોએ સર્વત્ર એ જ ઇચ્છા પ્રદર્શિત કરી છે કે જગદીપદેવ રાજગાદીએ બેસે.
જગદીપઃ કોઇનો ભિન્ન મત સાંભળ્યો જ નથી?
દુર્ગેશઃ માત્ર એક જ માણસને ભિન્ન મત જાણવામાં આવ્યો છે, અને તે માણસ તે બીજું કોઇ નહિ પણ શીતલસિંહ છે.
જગદીપઃ શીતલસિંહ ! કેવું આશ્ચર્ય ! શીતલસિંહ તો મારો ખરો વૃતાન્ત સવારીની આગલી રાત્રે મારે મોઢેથી સાંભળ્યા પછી મને કહેલું કે 'આપ રાજા થવા યોગ્ય છો' અને મને વિનંતિ કરેલી કે 'મને આપના અચલ નિષ્ઠાવાન પરમભક્ત તરીકે સ્વીકારશો!"
દુર્ગેશઃ એ વખતે એનું ચિત્ત ભયથી ઘેરાયેલું હતું, અને બીજી કોઇ રીતે એન લાભ થવાનો માર્ગ હતો નહિ. પણ, ગાદી પરનો દાવો તમે મોકૂફ રાખ્યો, તેથી તેને એક નવો મહત્ત્વલોભ થયો છે. પોતાના પુત્રને રાણી લીલાવતી પાસે દત્તક લેવડાવી તેને ગાદી અપાવવાની ખટપટ કરે છે.
જગદીપઃ અને, રાણી લીલાવતીની શી ઇચ્છા છે?
દુર્ગેશઃ તે હજી જણાયું નથી, પરંતુ મહત્ત્વલોભથી શીતલસિંહનું દુર્બલ ચારિત્ર બહુ ઉપહાસપાત્ર થયું છે. પોતાને તે ભારે ગૌરવવાળો કલ્પવા લાગ્યો છે.
૧૪૨
રાઈનો પર્વત