પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અમૃતદેવી : પુત્ર ! તને એ કર્ત્તવ્ય લાગતું હોય તો બેશક કરજે. મારી સહાયતા વિના હવે તારે કર્ત્તવ્યનિર્ણય કરવાનો છે, અને જ્યાં તને કર્ત્તવ્યપ્રતીતિ થઇ ત્યાં તે પાર પાડવા સારુ તારામાં આત્મબળની ખામી નહિ જણાય એવી મારી ખાતરી છે. હવે ઐહિક વિષયોમાંથી મારું મન ખસેડી લેતાં પહેલાં એક વાત મારે કહેવાની છે. તે કહેવી રહી ન જાય તે માટે મને ઘણી ઉત્સુકતા છે.
દુર્ગેશ : હું અને કમલા બહાર જઈએ ?
અમૃતદેવી : ના. મારાં વચન તમારે પણ સાંભળવા સરખાં છે, અને જે એક વેળા જાલકા હતી તે એ વચન કહી ગઈ છે એમ જગત્ ન માને તો તમે સાક્ષી પુરાવા લાગશો. (ટટાર બેસીને) જગદીપ ! તને પર્વતરાય બનાવવાની યોજના મેં કરી તે દિવસે એ છલની શિક્ષા ભોગવવાનું મેં માથે લીધું હતું, અને મારા આગ્રહ ઉપરથી તેં પણ તેમ કર્યું હતું, પરંતુ હવે મને ભાન થયું છે કે ઈશ્વરનું નીતિવિધાન તો એવું છે કે મનુષ્યે છલ ન કરવું અને છલની શિક્ષા વહોરી ન લેવી. અનીતિની શિક્ષાને પાત્ર થવાનું કબૂલ કરી અનીતિ કરવી એ નીતિવ્યવસ્થા નથી, એ મનુષ્યધર્મ નથી.
(ઉપજાતિ)

નીતિવ્યવસ્થા કરી ઈશ્વરે જે,
છે માત્ર તેને અનુકૂલ વિશ્વ;
નવી વ્યવસ્થા કરવાની શક્તિ,
નથી મનુષ્યત્વ વિશે રહેલી. ૯૪

જગદીપ : અને, વિશ્વની નીતિવ્યવસ્થા સામે ઝઘડવાનો પ્રયત્ન વ્યર્થ જતાં હું તારા પ્રત્યેના પ્રેમમાં ન્યૂન રહ્યો તે માટે ક્ષમા કરજે.
૧૫૦
રાઈનો પર્વત