પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



અમૃતદેવી : એમાં તારો શો અપરાધ હતો?
(અનુષ્ટુપ)

વિરોધી સત્યનો એવો પ્રેમ વિશ્વે અશક્ય છે;
જ્યાં સત્ય ત્યાં જ છે પ્રેમ, જ્યાં પ્રેમ ત્યાં જ સત્ય છે. ૯૫

(આઘે નજર કરતાં વિહ્વલ થઈને) અરે ! આ બારીમાંથી એ કારમી જગા દેખાય છે, એ તો હું આજ આમ બેઠી થઈ ત્યારે ખબર પડી !}}

જગદીપ : કઈ જગા ?
અમૃતદેવી : (ભયભીત ચહેરે આંગળી બતાવીને) તે જ જગા, જગદીપ ! તે જ જગા. (તકિયા પર પડીને) તે જ એ જગા છે કે જ્યાં પર્વતરાયનું શબ દાટ્યું છે. દાટતી વેળા એના હૃદયમાં ચોટેલું બાણ મેં ખેંચી કાઢ્યું હતું, પણ મારા હૃદયમાં ચોટેલું બાણ કોણ ખેંચી કાઢશે ? મને અહીંથી લઈ જાઓ. આ ખંડમાં હું સૂઈ નહિ શકું. કૃપાલુ પ્રભુ ! કદાચ તારા શાન્તિધામમાં કોઈ ખંડ...

[બેભાન થઈ જાય છે. જગદીપ, દુર્ગેશ અને કમલા અમૃતદેવીનો ખાટલો ઊંચકીને લઈ જાય છે.]

પ્રવેશ ૩ જો
સ્થળ: શીતલસિંહનું ઘર.
[શીતલસિંહ વિચારમાં ફરતો પ્રવેશ કરે છે.]
શીતલસિંહ : (સ્વગત) મને જે મોટી બીક હતી તે તો પતી ગઈ. એ જાલકાનો બુદ્ધિપ્રભાવ એવો હતો કે મારી બધી યુક્તિઓને તે ઊંધી વાળી નાખત, પણ એ તો આ દુનિયામાંથી ગઈ એટલે એક નિરાંત થઈ. પણ એમાં મારા કાર્યની સિદ્ધિ આગળ શી રીતે વધી ?
[નોકર પ્રવેશ કરે છે.]
 
અંક સાતમો
૧૫૧