પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


[દૂત પ્રવેશ કરે છે અને મંજરીના હાથમાં કાગળ આપે છે.]

(કાગળ વાંચીને) તું જા. આપણો સામાન કાઢી લીધો છે તે બસ છે. ધરમશાળા છો બળી જતી.

[દૂત જાય છે.]
 

કાગળમાં લખ્યું છે કે એ રાજા સૈન્ય મોકલવા ખુશી છે પણ એવી શરત કરે છે કે એને એક કરોડ દામ આપવા અને પૂર્વમંડળનો આખો પ્રદેશ આપી દેવો.

શીતલસિંહ : એક કરોડ દામ તો મારઝૂડ કરીને લોકો પાસેથી ઉઘરાવીને આપીએ, પણ પૂર્વમંડળ આપી દેતાં તો મારા પુત્રને મળવાની ગાદી નાની થઇ જાય.
મંજરી : ગાદી મળવાના જ વાંધા છે ત્યાં નાની મોટી ક્યાં કરો છો ?
શીતલસિંહ : તને લાગતું હોય તો હું ના કહી શકવાનો છું ?
મંજરી : સૈન્યની મદદનું તો આમ નક્કી થયું. દત્તવિધાન થાય તે પછી તરત સૈન્ય બોલાવાય. માટે, ગમે તેમ કરીને દત્તવિધાન કરવાનો માર્ગ લેવો જોઇએ.
શીતલસિંહ : રાણીસાહેબ હઠ લઇને બેસે ત્યાં શો ઉપાય ?
મંજરી : મેં એક ઉપાય શોધી કાઢ્યો છે. રાણી લીલાવતીના પિયેરનો પુરોહિત અત્રે આવેલો છે. એના પર રાણીસાહેબની કૃપા છે. એ પુરોહિતને દાનદક્ષિણાથી રાજી કરી તમે એની મારફત રાણી સાહેબ પાસે આટલું કબૂલ કરાવો. એની રૂબરૂ રાણીસાહેબ એક વાર તમારી મુલાકાત લે.
શીતલસિંહ : અને, એવી મુલાકાત થાય તો તે વખતે શું કરવું ?
મંજરી : તમે અને પુરોહિત રાણીસાહેબને બે વાતનો આગ્રહ કરીને કહેજો. એક તો એમ કહેજો કે જાલકાએ રાણીસાહેબ તરફ આવો દગો કરેલો અને આવો દુરાચાર કરવા
૧૫૬
રાઈનો પર્વત