પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પુરોહિત : આપને પ્રધાનજીએ આ સિદ્ધાન્ત કહ્યા હશે !
લીલાવતી : જે મંત્રીશ્વર પોતે આવા ઉચ્ચ સિદ્ધાંત ગ્રહણ કરી શકે છે અને મારી પાસે ગ્રહણ કરાવી શકે છે તેમનો મહિમા કંઈ સાધારણ છે ?
પુરોહિત : પ્રધાનજીનો બુદ્ધિપ્રભાવ વિશાળ છે, પરંતુ જે માણસના બાણથી પર્વતરાય મહારાજના પ્રાણ ગયા તેને જ તેમનો વારસ થવા દેવો એ મારી અલ્પ બુદ્ધિને તો ઉચિત લાગતું નથી.
લીલાવતી : એ અકસ્માત હતો અને તેમાં જગદીપનો દોષ લેશમાત્ર નહોતો. એ જગદીપને ઉદાત્તતાને લીધે જ રાજદરબાર કપટમાં ઘેરાતો બચ્યો અને મારા શિયળનું રક્ષણ થયું છે, તે માટે ઉપકારવૃત્તિ ઘટતી નથી ? અને આ અવસ્થાએ આવ્યા પછી, અત્યારે જગદીપને ગાદીએ બેસતો અટકાવી ગુજરાતને કલહમાંથી અને પરરાજ્યોના હુમલામાંથી બચાવવાનો કોઈ માર્ગ સૂચવો છો ? આપ વૃદ્ધ છો અને અનુભવી છો.
પુરોહિત : આપ કૃપાવન્ત થઈ પૂછો છો, માટે કહું છું કે આપ કોઇને દત્તક લઈ ગાદીએ બેસાડો એ જ માર્ગ છે.
લીલાવતી : કોને દત્તક લેવાની આપ સલાહ આપો છો?
પુરોહિત : હું તો તટસ્થ છું, મારે કંઈ લાભાલાભ નથી, પણ અહીં આવ્યા પછી મેં અહીંના સામન્તો અને ક્ષત્રિયો સાથે પ્રસંગ પાડ્યો છે. નિષ્પક્ષપાત વૃત્તિથી જોતાં મને તો લાગે છે કે શીતલસિંહનો પુત્ર દત્તક લેવા માટે સહુથી વધારે યોગ્ય છે.
લીલાવતી : એનામાં શા વિશેષ ગુણ છે ?
પુરોહિત : વિશેષ ગુણ તો શું, પણ શીતલસિંહ ઉપર પર્વતરાય મહારાજને સંપૂર્ણ વિશ્વાસ હતો, અને એ બધી રીતે વફાદાર છે ને વફાદાર રહેશે.
૧૬૪
રાઈનો પર્વત