પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રવેશ ૬ ઠ્ઠો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાંની દરબારકચેરી

[કચેરીમાં વાદ્ય કે સંગીત થતું નથી, તેમ જ કાંઈ શોભા કરેલી નથી. ફરસબંધી ઉપર તેમજ સિંહાસનની બેઠક ઉપર અને છત્રી ઉપર ધોળી કોરવાળાં કાળાં વસ્ત્ર અને કાળી કોરવાળા ધોળાં વસ્ત્ર પાથરેલાં છે. જગદીપ અને તેની જમણી તરફ વીણાવતી સિંહાસને બેઠેલાં છે. વીણાવતીની જમણી તરફ સાવિત્રી, કમલા અને બીજી સ્ત્રીઓ બેઠેલી છે, અને જગદીપની ડાબી તરફ કલ્યાણકામ, પુષ્પસેન, દુર્ગેશ અને બીજા પુરુષો બેઠેલા છે; એવો પ્રવેશ થાય છે.]

પ્રતિહાર : શ્રીમત્‌ પરમભટ્ટાર્ક પરમમાહેશ્વર પરમભાગવત, સમધીગતપંચમહાશબ્દ સકલસામંતાધિપતિ બાહુસહાય ગુર્જરનરેન્દ્ર શ્રીજગદીપદેવ મહારાજાધિરાજનો જય ! શ્રીમતી મહારાણી વીણાવતી દેવીનો જય ! મહારાજ અને માહારાજ્ઞી સભામાં સર્વનું સ્વાગત કરે છે.
જગદીપ : પ્રતિહાર ! સર્વને જાહેર કરો કે આજની કચેરીમાં ઉત્સવ અને અભિનન્દન બંધ છે.
પ્રતિહાર : (નમન કરીને) જેવો ધરણીધરનો હુકમ. ( દરબારમંડળ તરફ ફરીને મોટેથી) આજની કચેરીમાં ઉત્સવ અને અભિનંદન બંધ છે.
કલ્યાણકામ : મહારાજ ! આવે મંગલ પ્રસંગે આ બધો શોક ન ઘટે.
જગદીપ : ભગવન્ત ! અમારી બે માતાઓની ચિતાભૂમિ હજી ઉની છે તેટલામાં લગ્ન અને રાજ્યાભિષેકની ક્રિયાઓ કરી અમે સ્નેહનો વિચ્છેદ કર્યો છે તેનો તો અમને સાક્ષાત્કાર થવા દો.
કલ્યાણકામ : એ બંને ક્રિયાઓ કરવામાં મહારાજ અને દેવી કર્તવ્ય પારાયણ થયાં છો, અને કર્તવ્ય કરવામાં હર્ષશોકના અન્તરાય લેખાતા નથી. વળી, સંસારની તો એ જ ઘટના છે, કે–
અંક સાતમો
૧૬૯