પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પરિશિષ્ટ

(૧)
(પ્રસ્તાવનામાં કરેલો ઉલ્લેખ)

(ભવાઈ સંગ્રહમાં "લાલજી મનીઆર"ના વેશમાં)

સાઈઆંસે સબ કુચ હોત હે, મુજ બંદેસે કચુ નાહીં,
રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી.

આ દુહા નીચે ટીપમાં વાર્તા આપી છે તે નીચે પ્રમાણે છે :-

કોઈ પરબત નામે પાદશાહ હતો. તે એક વખત મધરાત્રે ચાંદની ખૂબ ખીલી રહી છે, તેવામાં પોતાના એક સાથીને લઈ શહેર બહાર પોતાનો એક બાગ હતો ત્યાં ગયો. એ બાગમાં સસલાં, હરણ વગેરે પશુઓ બહુ નુકશાન કરતાં હતાં, તેથી તેનો રખેવાળ માળી રાઈ નામે હતો તેણે વિચાર્યું કે એમાંથી થોડાને મારીશ ત્યારે તેએ કેડો છોડશે. તે રાત્રે કામઠામાં તીર ચડાવીને તૈયાર થઈને બેઠો હતો. એવામાં પાદશાહ અને તેનો સાથી બાગમાં પેઠા. તેમનાં પગલાનો અવાજ સાંભળ્યો કે માળીએ જાણ્યું કોઈ જનાવર પેઠું, ને તે અવાજ ઉપર તીર છોડ્યું. તે પાદશાહની છાતીમાં વાગ્યું, ને તરત તેનો પ્રાણ ગયો. સાથીએ બૂમપાડી કે રાઈ માળી દોડી આવ્યો ને જુવે છે તો પોતાનો ધણી પડ્યો દીઠો. તે ઘબરાયો ને રોવા લાગ્યો. પાદશાહના સાથીએ તેને ધીરજ આપી છાનો રાખ્યો, ને કહ્યું કે , 'ભાઈ તેં અજાણે આ કામ કર્યું છે, માટે તારી તકસીર નથી. પાદશાહના મરણની વાત શહેરમાં જણાશે તો બધું રાજ ઊંધુ વળશે. તખ્તને લેવા સારુ મોટી લડાઈ જાગશે ને બહુ ખરાબી થશે, માટે આ વાત છાની રાખી તને પાદશાહની જગાએ બેસાડું.' પાદશાહનો પોશાક ઉતારી સાફ કરી તેને પહેરાવ્યો, અને પેલા શબને ત્યાં જ દાટ્યું. બંને જણા શહેર ભણી ચાલ્યા. રસ્તામાં

પરિશિષ્ટ
૧૭૩