પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


રસ્તેથી રાતોરાત ચાલ્યા ગયા છે. રાઈને ભોંયરામાં દાખલ કરતાં પહેલાં તમારે એને એક ઠેકાણું બતાવવાનું કહ્યું છે.
શીતલસિંહ : રાણી લીલાવતીનો આવાસ.
જાલકા : આજ રાતે ત્યાં એને લઈ જાઓ
શીતલસિંહ : રાણી ન જાણે એમ મહેલમાંની એક છાની બારીથી પર્વતરાયને - એટલે રાઇને રાણી બતાવવાની મેં ગોઠવણ કરી છે.
જાલકા : રાઈએ પોતે કદી રાણીને જોવાની જિજ્ઞાસા બતાવી છે ?
શીતલસિંહ : એમણે એ વિશે વાત જ નથી કરી. એ બાબત એમને સૂઝી જ નથી એમ લાગે છે.
જાલકા : એ વિષય ઘણી સંભાળથી અને ઝીણવટથી એની આગળ મૂકવાનો છે.
શીતલસિંહ : તમે સૂચનાઓ કરેલી છે તે મારા ધ્યાનમાં છે. ઠીક સાંભર્યું. કાલે એમની સાથે ફરતાં એમના ગજવામાંથી આ કાગળ પડી ગયો, તે મેં છાનોમાનો લઈ લીધો છે એમાં કવિતા લખી છે, પણ તે બિલકુલ સમજાતી નથી.
જાલકા : (કાગળ લઈને ઉઘાડીને વાંચે છે.)

રે ! વિચિત્ર પટ શું વણાય આ?
તન્તુઓ અવશ શા તણાય આ?
કોણ એ શી રીતથી વને બધું ?
માનવી ! અબલ તન્તુ અલ્પ તું ! ૪૧
ના, નથી અવશ કે અશક્ત તું,
તું વડે જ સહુ કાર્ય આ થતું;
બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,
તું ગ્રહે ઉભયમાંથિ એક ત્યાં. ૪૨

૭૨
રાઈનો પર્વત