પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શીતલસિંહ : લીલાવતીનો.
રાઈ : તેનો આવાસ જોવાની મારે શી જરૂર છે ?
શીતલસિંહ : આપ પર્વતરાય થશો અને પર્વતરાયની રાણીને નહિ ઓળખો?
રાઈ : શીતલસિંહ ! તમારાં વચન કંઈ મર્મવાળા લાગે છે. (અટકીને) મને કંઈ અમંગલ શંકાઓ જેવું થાય છે. તમને તેવું થાય છે?
શીતલસિંહ : મને તો એવું કાંઈ થતું નથી.
રાઈ : (પૂર્વ આકાશ તરફ જોઈને) પણે ચન્દ્ર હજી ઊગે છે તેટલામાં તેના તરફ કેવું વિકરાળ વાદળું ધસી આવે છે?

[ઈંદ્રવંશા]

કદ્રપિ કાળી અતિઘોર આકૃતિ,
બે શૃંગ ઉંચા, શિર નાનું કૂબડું;
બે હાથ વાંકા, પગ સ્થૂલ ટૂંકડા,
ગાંઠો ભરેલું સહુ અંગ એહનું. ૪૫

શીતલસિંહ : એ માત્ર આપની કલ્પના છે. વાદળા જેવું વાદળું છે. જુઓ, આપણે મહેલને પાછલે બારણે આવી પહોંચ્યા.
રાઈ : શીતલસિંહ ! મારો હાથ ઝાલો. મારા પગ ધ્રૂજે છે ?
શીતલસિંહ : આ શું ? મહેલમાં તો આપણે ઘણી વાર જઈ આવ્યા છીએ. આપની હિંમત ભરેલી બેદરકારી ક્યાં ગઈ ?
રાઈ : ગઈ રાતે મને ઊંઘ આવી નથી. તેથી મારું માથું ઘૂમે છે એ મારી અવસ્થાનું કારણ છે. રાણીનો આવાસ આપણે શી રીતે જોઈશું.
શીતલસિંહ : આવાસના શયન ગૃહમાં નજર પડે એવી રીતે ભીંતની ઊંચે છત પાસે પર્વતરાય મહારાજે એક નાની બારી મુકાવેલી છે. રાણીને તેની ખબર નથી. બારી બંધ હોય
૭૪
રાઈનો પર્વત