પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શીતલસિંહ : કઈ મુશ્કેલી ?
રાઈ : રાણી લીલાવતી બાબતની.
શીતલસિંહ : રાણી લીલાવતી બાબત મને કાંઈ મુશ્કેલી નથી લાગતી. એ પૂર્ણ પ્રેમ અને વિશ્વાસથી આપને મળવા તલસી રહ્યાં છે.
રાઈ : મને મળવા ?
શીતલસિંહ : પોતાના પતિને મળવા એટલે આપને મળવા.
રાઈ : શીતલસિંહ ! આ શી વિપરીત વાત કરો છો? હું એનો પતિ નથી.
શીતલસિંહ : આપ પર્વતરાય તરીકે પ્રગટ થશો.
રાઈ : ત્યારે જ મુશ્કેલી થશે. હું પર્વતરાય છું, પણ લીલાવતીનો પતિ નથી. એમ શી રીતે પ્રતિપાદન કરવું એ સૂઝતું નથી.
શીતલસિંહ : એ પ્રતિપાદન થાય જ કેમ? આપ પર્વતરાય થશો તો બધા સંબંધો અને બધા વ્યવહારોના પર્વતરાય થશો. પર્વતરાય તરીકે આપ રાજ્યના ધણી થશો તેમાં જ લીલાવતીના ધણી થશો અને અમૃતમય સુખના અધિકારી થશો.
રાઈ : शान्तं पापम्। એવા શબ્દ મારે કાને ન સંભળાવાશો.
શીતલસિંહ : રાણીનું સૌંદર્ય અનુપમ છે.
રાઈ : તેથી શું ?
શીતલસિંહ : એવી અનુપમ સુંદરીના ધણી થવાનો આપણે વાંધો શો છે ?
રાઈ : વાંધો એ છે કે હું તેનો ધણી નથી.
શીતલસિંહ : એ આપને પોતાના ધણી તરીકે કબૂલ કરશે, પછી શું !
રાઈ : એ તો માત્ર છેતરાઈને – હું ખરેખરો પર્વતરાયા છું એમ માનીને કબૂલ કરે. મારે શું અનીતિને માર્ગે જવું અને રાણીને અનીતિને માર્ગે દોરવી?
૮૨
રાઈનો પર્વત