પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



પુત્રીને જીવતી આવેલી જોઈને એનાં માતપિતાને ઘણો આનંદ થયો. તેમણે એ દિવસે પુષ્કળ પુણ્યદાન કર્યું.

એ નગરીમાં એક દિવસ આર્ય સુહસ્તી નામના આચાર્યની કથા સાંભળતાં તથા પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણવામાં આવતાં નર્મદાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. એજ સાધુ પાસે તેણે દીક્ષા લીધી અને તપશ્ચર્યા કરીને અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું તેમજ પ્રવર્તિની પદ મેળવ્યું.

ધર્મોપદેશ નિમિત્તે પ્રવાસ કરતાં તે ચંદ્રપુર નગરમાં પહોંચી. ત્યાં એના વ્યાખ્યાનમાં મહેશ્વરદત્ત પણ ગયો હતો. એણે નર્મદાને ઓળખી નહોતી. ઉપદેશ સાંભળ્યા પછી તે પૂછવા લાગ્યો: “દેવિ ! મેં મારી સ્ત્રીને કલંકિની જાણીને છોડી દીધી છે, તો તે કલંકિત હતી કે શુદ્ધ તે કૃપા કરીને કહો.” સાધ્વીએ કહ્યું કે, “એ તો પવિત્ર અને નિષ્કલંક હતી.” એથી મહેશ્વરદત્તને ઘણોજ પશ્ચાત્તાપ થવા લાગ્યો. એને દુઃખી થતો જોઈને સતીને દયા આવી અને તેણે કહ્યું: “ તમારી એ જૂઠા કલંકથી કલંકિત થયેલી પ્રિયતમા હું જ છું.” પતિએ એની ઘણી ક્ષમા માગવા માંડી. નર્મદાએ તેને એમ કરતાં રોકીને કહ્યું: “તમે એવું કહીને મને શરમાવશો નહિ. આપે આપની વર્તણુંક માટે જરા પણ પશ્ચાત્તાપ કરવો ઘટતો નથી. કર્મને અનુસરીનેજ જીવો સુખદુઃખ ભોગવે છે.” મહેશ્વરદત્તને પણ હવે સંસાર ઉપર વૈરાગ્ય ઊપજ્યો. તેણે પણ પત્નીના ગુરુ પાસે દીક્ષા લીધી અને નર્મદાના તટ ઉપર ધર્મની સાધનામાં બન્ને શેષ જીવન ગાળવા લાગ્યાં.