પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



અધિષ્ઠાત્રી શિવાઈ માતાની આરાધના કરવા માંડી.

પરંતુ સંસારનું સઘળું સુખ જતું રહે તો પણ સંતાન પ્રત્યેની મમતા સ્ત્રીના હૃદયમાંથી ઓછી થતી નથી. કેદીની દશામાં જીજાને સંસારનું બીજું કાંઈ બંધન નહોતું, પણ ગર્ભમાંના બાળક પ્રત્યેનો પ્રેમ સદા તેનું ધ્યાન એ તરફ ખેંચી રાખતો.

સાંસારિક સુખની કોઈ સાંકડી અને સ્વાર્થી લાલસા તેને નહોતી, ઘર માંડીને સાંસારિક વૈભવથી સુખી થાવાની ઈચ્છા તેણે કોઈ દિવસ મનમાં આણી નથી, એના મનમાં કેવળ એ જ વિચાર આવતો કે, “હિંદુ ધર્મ અને હિંદુ જાતિનો દિવસે દિવસે ભારતવર્ષમાંથી નાશ થતો જાય છે, માટે હું એક એવા વીર અને ધાર્મિક પુત્રને જન્મ આપું કે, એ પુત્ર ફરીથી ભારતની પ્રતિષ્ઠા અને ગૌરવ વધારે.” એ ઉચ્ચ કામના સુખ અને વૈભવની ઈચ્છાઓને દૂર કરીને, ઉદારચરિત જીજાના હૃદયમાં ઊભરાવા લાગી. એજ કામનાથી જીજાબાઈ હમેશાં એકાગ્રચિત્ત શિવાઈદેવીની પૂજા અને પ્રાર્થના કરતી હતી.

દેવીના મંદિરમાં બેસીને બે હાથ જોડીને જીજા કહેતી કે, “મા, સંસારમાં મારે કાંઈ સુખ નથી, કોઈ સુખની હું આકાંક્ષા પણ રાખતી નથી. ગર્ભમાં જે બાળક છે તે બાળક તમારો થાઓ. તમારી દયા અને તમારે પ્રતાપે એ તમારી શક્તિ લઈને દુનિયામાં અવતરજો. એ પુત્ર પાસેથી હું મારા અંગત ફાયદાની આશા રાખતી નથી કે પુત્રના પોતાના સુખવૈભવની કે વિલાસની પણ હું વાસના કરતી નથી. ઇચ્છા માત્ર એટલી જ છે કે એ પુત્ર સદા તારોજ દાસ થઈને રહે અને તારી સેવા કરીને માનવજીવનનું સાર્થક કરે. મા ! હું તમારી જ જે ભક્તિ અને પૂજા કરું છું, તે ભક્તિ તમારી કૃપાથી મારા ગર્ભમાં રહેલા બાળકના હૃદયમાં સંચાર પામો ! એ ભક્તિના આશીર્વાદરૂપે તમારી વિશ્વપાલક શક્તિથી તેનું હૃદય પૂર્ણ થાઓ અને એ શક્તિથી ભારતમાં ધર્મરાજ્યની સ્થાપના થાઓ. મારી બીજી કોઈ કામના નથી. બીજી કોઈ પ્રાર્થના નથી. તમારી દાસી નિત્ય એકજ વાસના અને એક જ પ્રાર્થના માટે તમારે બારણે આવીને પોકારે છે. માજી! દાસીની એ પ્રાર્થના સાંભળો અને દાસીની એ ઈરછા પૂર્ણ કરો.