પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 વીર રાજા હતા, એ વાત તમારે સ્મરણમાં રાખવી ઘટે છે.

માતા અને દાદાજીના શિક્ષણથી શિવાજીના હૃદયમાં ધર્મ ઉપર દૃઢ પ્રેમ ઉત્પન્ન થયો અને ધર્મના રક્ષણ સારૂ તથા તેની પુનઃ સ્થાપના સારૂ વીરતા અને દૃઢ પ્રતિજ્ઞાના ગુણોનો પણ વિકાસ થવા લાગ્યો. માતા જીજાબાઈની સાધના સફળ થવાનાં ચિહ્ન જણાવા લાગ્યાં.

શિવાજી જેમ જેમ મોટા થયા, તેમ તેમ તેમને ખાતરી થતી ગઈ કે, ભારતમાં સ્વતંત્ર હિંદુ રાજ્ય સ્થાપ્યા વગર હિંદુ ધર્મ અને હિંદુ પ્રજાનું ગૌરવ સાચવી રાખવાનો બીજો કોઈ ઉપાય નથી. ધીમે ધીમે પોતાના તાબાના જાગીરદારો પાસેથી ધન અને માણસો લઈને એ કામને માટે ઉપયોગી સામગ્રી એકઠી કરવા લાગ્યા. શાહજી બિજાપુર રાજ્યની નોકરી અર્થે દૂર કર્ણાટક પ્રાંતમાં રહેતા હતા. દાદાજી અને શિવાજીના હાથમાં બાપદાદાની જાગીરનો સંપૂર્ણ કારભાર હતો, એટલે જીવનનું વ્રત સાધવાને શિવાજીને કોઈ જાતની અડચણ નડી નહિ.

સાંસારિક સુખભોગમાં જીજાની આસક્તિ નહોતી. જે મહાન વ્રતમાં એણે પુત્રને દીક્ષિત કર્યો હતો, તે મહાવ્રતનું પાલન કરવામાં પુત્રને મદદ આપવી એ તેને મનથી જીવનનો મુખ્ય ધર્મ હતો, એટલે એ ઘણો વખત પુત્રની પાસે જ રહેતી. સંસારમાં પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે, પણ તેના કરતાં પણ માતૃધર્મને મહત્–વ્રત–પરાયણ જીજા વધારે અગત્યનો ગણતી. એ જાણતી હતી કે એના વગર સ્વામીને કોઈ પણ જાતની અડચણ પડવાની નથી; કારણકે એની સપત્ની તુકાબાઈ સ્વામીની સાથેજ હતી. તુકાબાઈના હાથમાં સ્વામી સેવા અને સ્વામીના ઘરસંસારનો ભાર સંતુષ્ટચિત્તે સોંપી દઈને મહાપ્રાણ જીજાબાઈ પુત્રના ઘરના વહીવટ ઉપર દેખરેખ રાખવા લાગી.

શિવાજી જ્યારે વીસ વર્ષનો થયો, ત્યારે દાદાજી ઘણો માંદો પડ્યો. દાદાજીને લીધે શિવાજીને ઘણીજ મદદ મળી હતી. દાદાજી નહિ હોય તો તેની ખોટ કોઈનાથી પણ પુરાય એમ નથી, એ બધું જીજાબાઈ જાણતી હતી. એટલા માટે પુત્ર અને પુત્રવધૂને લઈને જીજાબાઈ તેની સેવામાવજત કરવા લાગી.

પરંતુ વૃદ્ધ અને જીર્ણ શરીર રોગના સખ્ત હુમલા આગળ