પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
રાજમાતા જીજાબાઈ



અને ઉદાસીનતા કાંઈ ઓછાં મહત્ત્વનાં લક્ષણ નથી.

બિજાપુરની સાથે શિવાજીનો વિરોધ વધવા લાગ્યો. શિવાજીની શક્તિ વધી પડવાથી તથા તેનું રાજ્ય વધતું જતું હોવાથી, બિજાપુરના રાજ્યને ઘણું નુકસાન થયું અને શિવાજી સદાને માટે તેમને મોટા ભયનું કારણ થઈ પડ્યો. એવામાં સુલતાનનું મૃત્યુ થયું અને તેનો બાળકપુત્ર ગાદીએ બેઠો. બાળકની માતાએ મુખ્ય સેનાપતિ અને કારભારી તરીકે અફજલખાં નામના કોઈ સારા કુટુંબના મુસલમાનની નિમણુંક કરી અને તેના હાથમાં રાજ્યનો કારભાર સોંપ્યો. શિવાજીએ પોતાના રાજ્યની જે જમીન દબાવી હતી, તેનો બદલો લેવા માટે મોટું સેન્ચ લઈને અફજલખાંએ શિવાજીના રાજ્ય ઉપર ચડાઈ કરી. રસ્તામાં એણે તુળજાપુર નામના એક તીર્થસ્થાનમાં ભવાની મંદિરમાં પેસી જઈને મૂર્તિ તોડી નાખી તથા ઘણા યાત્રાળુઓને મારી નાખ્યા. ત્યાંથી પંઢરપુર તીર્થમાં જઈને ઘણાં દેવમંદિરો તોડી નાખ્યાં.

શિવાજીને કાને આ ખબર પહેાંચી. ભગવતી ભવાની એમની ઈષ્ટદેવી હતી. હિંદુઓનાં દેવદેવીઓ તથા ધર્મના રક્ષણને સારુ સ્વતંત્ર હિંદુ રાજ્ય સ્થાપવાનું એમણે વ્રત લીધુ હતું. આજ વિધર્મી શત્રુને હાથે ઈષ્ટદેવીના મંદિરનો નાશ થશે, હિંદુના દેવતા અને ધર્મનું આ પ્રમાણે અપમાન થયું, એ વિચાર હજાર વીંછીના ડંખની પેઠે તેમના મર્મને વીધી નાખવા લાગ્યો. દેશમાં હિંદુઓ જીવતા છતાં હિંદુઓના આગેવાન તરીકે ભવાનીનો વરપુત્ર–ભવાનીના ચરણમાં વેચાયેલ દાસ પોતે જીવતાં છતાં આજ ભવાનીદેવીનું આટલું બધું અપમાન ! ધિક્કાર છે એ જીવનને ! ધિક્કાર છે હિંદુઓના ધર્માભિમાનને!! આ અપમાનનો બદલો લેવા માટે હજારો હિંદુઓએ પ્રાણ આપવા ન જોઈએ? હિંદુઓના હૃદયના ઊકળતા લોહીથી તર્પણ કર્યા વગર અપમાન પામેલા દેવતાઓનો ગુસ્સો બીજા કશાથી શમી શકે ? આવા આવા વિચારના તરંગોથી શિવાજીના હૃદયમાં મહાપ્રલયનો કાલાગ્નિ સળગી ઊઠ્યો. એ અગ્નિની ઝાળ તેના સાથીઓ અને સૈનિકોના હૃદયને પણ અડકી અને વેરનો એક પ્રચંડ અગ્નિ સળગવા લાગ્યો.

આ વૈરાગ્નિને છાતીમાં રાખીને બધા યુદ્ધ કરવા તૈયાર થયા.