પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



પાસેજ મંત્રદીક્ષા લીધી હતી.

સંન્યાસીના જીવનનિર્વાહનું સાધન ભિક્ષા હોય છે એ તો સૌ કોઈ જાણે છે. શિષ્ય રાજા હોય તો પણ ખરા સંન્યાસીઓ તેની પાસેથી કોઈ કિંમતી ભેટ કે દક્ષિણા લેતા નથી. ભિક્ષા માગતા માગતા એક સમયે રામદાસ સ્વામી શિવાજીની રાજધાનીમાં આવી પહોંચ્યા. દીક્ષાગુરુ ભિક્ષાર્થીરૂપે ઊભા છે એ જોઈ ઉદાર શિવાજી મહારાજે આખું રાજ્ય સ્વામીજીને ભિક્ષા તરીકે અર્પણ કરી દીધું. સ્વામીએ કહ્યું: “શિવા!! આ શું કરે છે? રાજ્યને લઈને હું શું કરું ? તારું રાજ્ય તું પાછું લે, હું તો સંન્યાસી છું. રોજનું અન્ન રોજ ભિક્ષા માગીને ખાઉં છું. આજનું કાલ સંઘરી રાખવાનો અમારો ધર્મ નહિ; માટે તું તો મને માત્ર આજનું જ ભોજન આપ.”

શિવાજીએ સમર્પણ થઈ ચૂકેલું રાજ્ય પાછું લેવાનું મંજૂર કર્યું નહિ, બલકે સંસારનો ત્યાગ કરીને સ્વામીના શિષ્ય થવાની ઈચ્છા જણાવી. હિંદુઓમાં સ્વતંત્ર રાજ્ય સ્થપાય એ રામદાસના સંન્યાસી જીવનનું મુખ્ય વ્રત હતું. એ જાતીય ભાવ જાગૃત થયો હતો, શિવાજી એના અધિષ્ઠાતા હતા, પણ શિવાજી પોતેજ જે સંસારનો ત્યાગ કરીને સંન્યાસી થઈ જાય, તો એ નવી શક્તિ બિલકુલ છિન્નભિન્ન થઈ જાય.

આ તરફ શિવાજી મહારાજને સંકલ્પમાંથી ડગાવવા એ પણું સહેલું કામ નહોતું. ઘણો વિચાર કરીને રામદાસ સ્વામીએ કહ્યું: “ઘણું સારૂં, શિવા ! તારું રાજ્ય મેં સ્વીકાર્યું. તું મારો શિષ્ય છે, હું તને આજ્ઞા આપું છું કે, મારા કારભારી તરીકે તું આ રાજ્ય ચલાવ.”

હવે શિવાજીથી કાંઈ વાંધો લેવાયો નહિ. ભોગલાલસાનો બિલકુલ ત્યાગ કરીને, એ નિષ્કામ ગૃહસ્થ અને રાજાની પેઠે ઘરસંસાર અને રાજ્ય ચલાવવા લાગ્યા.

વળી તુકારામ નામના એક બીજા પ્રખ્યાત ધર્માત્મા, ભક્ત અને સાધુ પુરુષનો એ સમયમાં મહારાષ્ટ્રમાં આવિર્ભાવ થયો. એમનામાં કવિત્વ શક્તિ પણ ઘણી પ્રબળ હતી. પોતાનાં રચેલાં અનેક ભજનકીર્તન એ ગદ્દગદ સ્વરે ગાતા. એ સાંભળીને ઘણા લોકો મુગ્ધ થઈ જઈને તેમના શિષ્ય બનતા.