પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
રાજમાતા જીજાબાઈ


 તુકારામની ઘણી પ્રશંસા સાંભળીને શિવાજીએ તેમને રાજધાનીમાં બોલાવ્યા; પણ સાધુ પુરુષે પોતાનો એકાંત આશ્રમ છોડીને ત્યાં જવાની ના કહી. શિવાજી જાતે એમની કુટીરમાં પહોંચ્યા. તુકારામનાં ભજનકીર્તન તથા ધર્મોપદેશથી શિવાજીને સંસાર ઉપર એટલો બધો વૈરાગ્ય ઊપજ્યો કે, પોતે ઘેર પાછા ન ફરતાં વનમાંજ ધર્મનું ચિંંત્વન કરવામાં લીન થઈ ગયા. આ ખબર મળતાંવા૨ જીજાબાઈ તુકારામની કુટીરમાં પહોંચી અને કહ્યું: “મહારાજ ! તમે આ શું કર્યું? સંન્યસ્ત એજ કાંઇ મનુષ્યના જીવનનું એકમાત્ર વ્રત નથી. ભગવાનની ઇચ્છા પણ એવી નથી. સંસારને રચનાર એજ છે. દુનિયાના ૨ક્ષણ સારૂ રાજ્યના રાજધર્મનું વિધાન પણ એણે જ કર્યું છે. તેની આજ્ઞાથી હિંદુઓના દેવતા અને ધર્મના ૨ક્ષણ સારૂ શિવાજીએ રાજધર્મ સ્વીકાર્યો છે. એ રાજ્ય ચલાવવા માટે ભગવાનેજ એને શક્તિ, પ્રવૃત્તિ તથા દીક્ષા આપી છે. આજ એ રાજ્યધર્મથી ભ્રષ્ટ કરીને એને સંન્યાસમાં પ્રવૃત્ત કરાવવામાં તમે ભગવાનના નિયમનું ઉલ્લંઘન નથી કરતા ? તમારા આ કાર્યને પરિણામે હિંદુજાતિ અને હિંદુ ધર્મનું અનિષ્ટ થશે, તો તમે ઈશ્વર આગળ જવાબદાર નહિ ગણાઓ? મહારાજ ! હું તમને હાથ જોડીને વિનતિ કરું છું કે, એને સંન્યાસી થતાં રોકો. હિંદુ રાજાને તેના રાજ્યનું પાલન કરવા પાછા મોકલો. કર્મયોગી શિવાજીને તેના કામમાં પ્રવૃત્ત કરો. જે ઈશ્વરની ભક્તિ તમે સાધો છે, તેજ ઈશ્વરનું કર્મ શિવાજી સાથે છે. તમે ભક્ત થઈને એના કર્મમાં અડચણ ન નાખો; સાધુ થઈને પાપના ભાગી ન થાઓ.”

તુકારામે જીજાબાઈની વાત માની અને શિવાજીને બોલાવીને સંન્યાસનો ત્યાગ કરી રાજધર્મમાં મન લગાડવા હુકમ આપ્યો. રાજમાતા જીજાબાઈ કર્મયોગી પુત્ર શિવાજીને લઈને રાજધાનીમાં પાછી આવી.

આ સંક્ષિપ્ત જીવનચરિત્ર ઉપરથી વાચક ભગિનીઓને ખાતરી થઈ ગઈ હશે કે જીજાબાઈ એક ઉત્તમ રાજમાતા હતી. તેના ચરિત્રમાં જોવામાં આવતા નિશ્ચય, સ્વાભિમાન, કર્તવ્યનિષ્ઠા આદિ ગુણો ઘણી થોડી સ્ત્રીઓમાં જોવામાં આવે છે.