પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


આજ ઢંઢેરો પિટાવ કે, પેશ્વા કોઈ ગણતરીમાં નથી, એ તો તારી ઈચ્છા પ્રમાણે ચાલનારો તારા નોકરો જેવો જ છે. રાજા તું જ છે.”

પરંતુ બીકણ અને કોમળ સ્વભાવના રાજારામની હિંમત દાદીની સલાહ પ્રમાણે કરવાની ચાલી નહિ. ક્રોધને લીધે લાલચોળ થઈ જઈને તારાબાઈએ કહ્યુંઃ “બાયલા ! કુલાંગા૨ ! શિવાજી અને રાજારામનાં સાહસ, પરાક્રમ અને તેજસ્વિતાનો તારામાં જરા પણ અંશ નથી. તે તો નાહક શિવાજીના વંશજ તરીકે નામ ધરાવ્યું છે. હું તને આજથી મારા પૌત્ર તરીકે ગણીશ નહિ. આજથી હું તને રાજા તરીકે રાજ્યાસન ઉપર બેસવા દઈશ નહિ. શિવાજીની પુત્રવધૂ હું હજુ જીવું છું. રાજારામની સહધર્મિણી તરીકે આજ હું આ ૨ાજ્યની રાણી છું. આજથી આ રાજ્યનો વહીવટ હું પોતાના હાથમાં લઈશ. કુલાંગાર! બાયલા ! આ વીર વંશમાં તું કલંકરૂપ નીકળ્યો છે. આજથી મારા હુકમ પ્રમાણે તને કેદખાનામાં રાખવામાં આવશે.”

રાજારામને કેદખાનામાં કેદ કરીને તેજસ્વી તારાબાઈએ બધો કારભાર પોતાના હાથમાં લીધો.

આ ખબર પડતાંવારજ પેશ્વા પાછો આવ્યો. તારાબાઈની સહાયમાં એકલા દામાજી ગાયકવાડ હતા, પણ ચતુર પેશ્વાની યુક્તિથી દામાજી કેદ પકડાયા. તેમના સૈન્યનો નાશ થયો. પેશ્વાની વિરુદ્ધમાં પોતાની શક્તિનો બચાવ કરવાની હવે કોઈ સગવડ તારાબાઈ પાસે રહી નહિ. પેશ્વાના હાથમાં રાજ્યસત્તા સોંપવાની તેને ફરજ પડી.

પેશ્વાએ રાજારામને કેદખાનામાંથી છોડાવીને તેને સતારાનો નામનો રાજા બનાવ્યો અને પૂનામાં રાજધાની સ્થાપીને પોતે સ્વતંત્રપણે મહારાષ્ટ્ર ઉપર રાજ્ય ચલાવવા લાગ્યો.

તારાબાઈની આ પ્રમાણે પડતી આવવાથી, પેશ્વાની વિરુદ્ધ હવે કોઈ રહ્યું નહિ. તારાબાઈના જીવનચરિત્રમાં શીખવાનું માત્ર એજ છે કે, પોતાના કુળને માટે એને કેટલું બધું અભિમાન હતું ? સ્વતંત્રતાનો તેને કેટલો બધો શોખ હતો ? અને એ સ્વતંત્રતા નિભાવવા માટે પોતાથી બની શક્યું ત્યાંસુધી એણે કેટલો પરિશ્રમ કર્યો હતો ? જય પરાજય ઈશ્વરના હાથમાં છે; કર્તવ્ય કરવું એજ મનુષ્યનું કામ છે.