પાછળથી હુમલો કરીને શત્રુઓને મારીને નસાડી મૂક્યા અને શિવાજી મહારાજનો જયજયકાર કર્યો.
આ વીરતાથી શિવાજી ઘણાજ પ્રસન્ન થયા અને તેનું ઘણું સન્માન કરવા લાગ્યા, પરંતુ એની પ્રતિષ્ઠા વધતી જોઈને ચંદ્રરાવ અદેખાઈથી બળવા લાગ્યો અને એને મારી નાખવાની ખટપટમાં રહેવા લાગ્યો. એક દિવસ રઘુનાથ સરયૂને મળવાની ઈચ્છાથી કિલ્લાની બહાર ગયો અને જ્યારે પાછો કિલ્લામાં જવા લાગ્યો, ત્યારે તેને રાજાની આજ્ઞાથી કેદ પકડવામાં આવ્યો. એણે ઘણુંએ કહ્યું કે, “હું નિર્દોષ છું.” પરંતુ તેના ઉપર કાંઈ પણ ધ્યાન આપવામાં ન આવ્યું. ચંદ્રરાવે કિલ્લેદારના કાન ભંભેરવા માંડ્યા અને રઘુનાથની વિરુદ્ધ ઘણી જૂઠી જૂઠી વાત કહી. નિર્દોષ રઘુનાથને શિવાજીની રૂબરૂ રજૂ કરવામાં આવ્યો. એ વખતે શિવાજીની આંખો અંગારા જેવી લાલચોળ હતી. એમણે રઘુનાથને જોતાંવારજ પ્રશ્ન કર્યોઃ “હે યુવાન ! તેં સૈનિકોના નિયમની વિરુદ્ધ આચરણ કેમ કર્યું ? તું ખરેખરૂં કારણ કહી દે. શું તું ખરેખર નિમકહરામ થઈ ગયો ?”
‘નિમકહરામ’ શબ્દ રઘુનાથના કાનમાં તોપના ગોળા પેઠે પેસી ગયો. તેણે માથું ઊંચું કરી કહ્યું: “હું નિમકહરામ નથી.”
શિવાજી:— તું નિમકહરામ નથી તેને શો પુરાવો ?
રઘુનાથ:— મારી પાછલી સેવા.
શિવાજીઃ— મનુષ્યની મતિ દરેક ક્ષણે બદલાયા કરે છે.
રઘુનાથ:— ખરૂં છે, પણ રજપૂત નિમકહરામ નથી હોતા.
શિવાજી:— ખરી વાત; પણ એનો નિશ્ચય કરવો, એ ઘણું અઘરૂં કામ છે.
રઘુનાથ:— હું સાચો રજપૂત છું.
શિવાજી:— એની ખાતરી શી?
રધુનાથ મૌન રહ્યો. સરયૂના પ્રેમને લીધે એ કિલ્લા બહા૨ ગયો હતો, એ વાત એનાથી કહેવાય એમ નહોતી. શરમાઈને એણે નીચે જોયું. શિવાજીએ ક્રોધાવેશમાં આવી જઈને કહ્યુંઃ “તેં એક વખત ઘણી સરસ સેવા બજાવી છે, એટલે તને દેહાંત દંડમાંથી માફી બક્ષું છું; પણ આજથી તું તારું કાળું મોં મને