પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો


 શરમ આવતી હતી. લોકો એની પાર વિનાની નિંદા કરતા હતા અને જ્યાં એ જતો, ત્યાં નાનાં નાનાં છોકરાંઓ પણ તાળીઓ પાડીને તેની મશ્કરી કરતાં હતાં.

તાઇબાઈ કિલ્લાની અંદર લશ્કરને સદા તૈયાર રાખતી અને લડાઈની વાટ જોયા કરતી. એ પોતાના સિપાઈઓ સાથે ઘણી માયાળુપણે વર્તતી. તેઓ પણ એને પોતાની માતાની સમાન ગણતા અને એનો હુકમ મળતાંવારજ પોતાના પ્રાણની જરા પણ પરવા ન કરતાં, સળગતી આગમાં પણ પડવા તૈયાર થતા. મનુષ્યના ક્રોધ આગળ તો મનુષ્ય પોતાનું રક્ષણ કરી શકે છે, પણ દેવી કોપ આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. બિચારી તાઇબાઈને એ ખબર નહોતી કે કિલ્લામાં પોતે સુરક્ષિત છે, તોપણ વગર લડાઈએ યુદ્ધમાં હાર્યા વગર શત્રુના હાથમાં સપડાવું પડશે; પરંતુ જ્યારે મનુષ્યની પડતી આવે છે, ત્યારે અણધારી આફતો ગમે ત્યાંથી આવી પડે છે. તાઇબાઈના જીવનમાં પણ એજ પ્રમાણે બન્યું. જે ખાઈ મનુષ્યના પ્રાણ બચાવવા માટે ભરવામાં આવી હતી, તેજ ખાઈ મનુષ્યોનો સંહાર કરનારી થઈ પડી. દેવકોપથી અનાજની ભરેલી એ ખાઈમાં કોઈ પ્રકારે આગ લાગી અને બધું અનાજ બળીને રાખ થઈ ગયું. જે અન્ન ખાઈને આઠ મહિના સુધી જરા પણ ગભરાયા વગર તાઈબાઈનું લશ્કર દુશ્મનની સામે ટકી શક્યું હતું, તે અન્ન આમ એકાએક બળી જવાથી તાઇબાઈના લશ્કરના દુઃખનો પાર રહ્યો નહિ. ભૂખને લીધે તેઓ નિર્બળ થઈ ગયા. બહાર ગોખલેને એ વાતની ખબર પડી, એટલે એણે દુશ્મની નબળાઈનો લાભ લઈને કિલ્લા ઉપર ચડાઈ કરી. ચાર દિવસથી બિલકુલ ભૂખ્યા હોવા છતાં પણ, તાઇબાઈના સિપાઈઓ ખૂબ લડ્યા અને પેશ્વાના અનેક સિપાઈઓને ભોંયભેગા કરી દીધા; પરંતુ આખરે ભૂખને લીધે એમનું કાંઈ ચાલ્યું નહિ. પેશ્વાના સૈનિકો તાઇબાઈને કેદ પકડીને બાપુ ગોખલેની પાસે લઈ ગયા. બાપુ ગોખલેએ તેને બાજીરાવની પાસે રજૂ કરી. બાજીરાવે એ સન્નારીની ઘણી પ્રશંસા કરી અને તેને એક જુદા સ્થાનમાં આબરૂભેર રાખીને તેના ખાવાપીવાનો બંદોબસ્ત પણ સારી રીતે કરી આપ્યો.

આ ચરિત્રમાં તાઇબાઈની પતિભક્તિ તથા તેની બહાદુરી વખાણવા લાયક છે.