પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

५१-गौरीबाई

જે સન્નારીનું ચરિત્ર અમે આપવા માગીએ છીએ તે આપણા ગુજરાતના રત્ન ભંડારમાંનું એક અમૂલ્ય રત્ન હતું. ગૌરીબાઈનો જન્મ ગીરપુર અથવા ડુંગરપુર નામના શહેરમાં સંવત ૧૮૧૫ માં નાગર જ્ઞાતિમાં થયો હતો. બચપણથી જ એ ઘણી શાણી છોકરી હતી. વારેઘડીએ રોઈને તથા તોફાન કરીને માતપિતાને કષ્ટ આપતી નહોતી.

ગૌરીબાઈની ઉંમર પાંચ છ વર્ષની થઈ, ત્યારે તેના પિતાએ તેનું લગ્ન કરી દીધું. પાંચ વર્ષની બાલિકા લગ્નમાં શું સમજે ? પરંતુ બાળલગ્નના દુષ્ટ રિવાજે નાગર જેવી ચતુર અને ધર્મશાસ્ત્રનું રહસ્ય સમજનારી જ્ઞાતિમાં પણ પૂરેપૂરો પગપેસારો કર્યો હતો. નિર્દોષ બાલિકા ગૌરીબાઈને પણ બાળલગ્નના ભોગ થવું પડ્યું. લગ્ન થઈ ગયા પછી, આઠજ દિવસમાં તેના પતિનો દેહાંત થઈ ગયો. હાય દેવ ! કેવું કષ્ટ ! પાંચ વર્ષની બાલિકા ઉપર કેટલો બધો કોપ ! સુકુમાર પુષ્પ ઉપર કેવો સખ્ત વજ્રાઘાત !!

પાંચ વર્ષની વય સુધી તો ગૌરીએ રમતગમતમાં પોતાનો સમય ગાળ્યો હતો. હવે પતિના મૃત્યુથી એ બધી નિર્દોષ રમતગમતનો પણ અંત આવ્યો. એ કોમળ કન્યાને સમજાવવામાં આવ્યું કે, “તારા સંસારસુખનો સૂર્ય સદાને માટે અસ્ત પામી ગયો છે. રમતગમત, હસવું, કૂદવું, સારૂં ખાવુંપીવું એ બધું તારે માટે નિષિદ્ધ છે. જે રંગબેરંગી સાળુઓ તું તારી બીજી બહેનપણીઓને પહેરતાં જોઈશ, તે પહેરવાનો અધિકાર તને હવે રહ્યો નથી. નાપિતનો કઠોર હાથ કુદરતે આપેલા સુંદર લાંબા કેશને પણ તારા મસ્તક ઉપર નહિ રહેવા દે. જે મંગળ અનુષ્ઠાનોમાં અત્યાર સુધી કુમારિકા તરીકે તારો પ્રથમ આદરસત્કાર થતો હતો, તેજ મંગળ અનુષ્ઠાનોમાં તારું દર્શન પણ અપશુકનસૂચક મનાશે.”