પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
ગૌરીબાઈ



હતી, એ સમયે ગૌરીબાઈએ નશ્વર દેહનો ત્યાગ કર્યો. મૃત્યુ સમયે તેની વય પચાસ વર્ષની હતી.

ગૌરીબાઈને કવિતા રચવાનો સારો અભ્યાસ હતો, “એનાં ૬પર પદોની હસ્તલિખિત પ્રત છે, પણ તેમાંનાં જૂજ છપાયેલાં છે. કૃષ્ણ-બાળલીલા અને શિવ-સ્તુતિનાં કેટલાંક પદ છે અને ઘણાંક તો બ્રહ્મજ્ઞાનનાં છે. પ્રાચીન ગુજરાતીમાં વેદાંતી કવિ તરીકે તો અખો શ્રેષ્ઠ છે. તેનાં કાવ્ય પેઠે જ ગૌરીબાઈનાં બ્રહ્મજ્ઞાનનાં કાવ્યનો અર્થ સરળતાથી સમજી શકાય તેવો નથી. શુદ્ધ બ્રહ્મજ્ઞાનનાં પદમાં કવિતાની ઊર્મિ કાંઈક ઓછી છે, તેમાં અદ્વૈતમતનું પ્રતિપાદન કરેલું છે અને ઉપદેશ પણ છે. બીજા કાવ્યોમાં તેની ભાષા સંસ્કારી છે અને કેટલાંક કવિતામય સુંદર કાવ્યો એવા છે કે બીજી સ્ત્રી-કવિઓમાં નજરે પડતાં નથી. “વનેશ્વર વિશ્વમાં વિલાસ્યા, જેમ ફુલનામે બાસ,” "ચંદમેં તું ચૈતન્ય, સૂરજમેં તું તેજ, ” “ગવરી ભેટી બ્રહ્મસનાતન્, જેમ સાગરમાં ગંગ” વગેરે. એનાં કાવ્યનાં ઉદાહરણ તરીકે એક લઇએ:–

“હરિનામ બિના રે ઓર બોલના ક્યા? હરિકથા બિના ઓર સુનના ક્યા ? સુખસાગર સામળીઓ ત્યાગી, ફૂપ ડાબમેં ડોલના ક્યા ? ઘટ ગિરધર ગિરધારી પાયા, બાહેર દ્રિંગ અબ ખોલના ક્યા ? આત્મા અખંડ આવે ન જાવે, જન્મ નહિ તો ફિર મરના ક્યા ? ગવરી બ્રહ્મ સકલ મેં જાન્યા, જાન્યા તો જદ ખોલના ક્યા ?

બાળપણમાં વૈધવ્ય પ્રાપ્ત થયું, તથાપિ ગૌરીબાઈએ પોતાનું જીવન એળે ન ગાળતાં તેને સાર્થક કર્યું છે અને પોતાનું નામ અમર કરી ગઈ છે. ગુજરાતી સ્ત્રી કવિઓમાં એ સર્વથી સંસ્કારી હતી અને તેનું જ્ઞાન પણ સર્વથી ચઢિયાતું હતું."*[૧]


  1. * જુઓ શ્રી. વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ રચિત “ગુજરાતની સ્ત્રી-કવિઓ” વિષયક નિબંધ.