પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



તેમજ બ્રાહ્મણોએ લગ્ન સમાપ્ત થતાં લગી થોભવાને ઘણીએ વિનતિ કરી, પણ એ તો કોઈનું કહ્યું માન્યા વગર, ઘોડો દોડાવતો ચાલ્યો ગયો.

પતિને રણમાં સિધાવતો જોઈને સોનના મનમાં અનેક પ્રકારની આશંકાઓ થવા લાગી. અશ્રુપૂર્ણ નયને એ બોલી:–

"કઈ ઝાલે ઘોડાની વાઘ, અમે વહુવારૂએ વળગાય નહિ;
સૂરજ પૂરજે શાખ, રક્ષા કરજે રાખાપતની.”

રાખાપતે શત્રુઓને હરાવી ગાયોનું રક્ષણ કર્યું. વિજયના ઉત્સાહમાં અશ્વ દોડાવતો એ ઘેર આવતો હતો, એટલામાં દુર્ભાગ્યે ઘોડાએ તોફાન કર્યું ને રાખાપતનું માથું ભાણવડ પાસેના ભૂતવડની ડાળીમાં ભરાઈ ગયું અને ધડ લટકી રહ્યું છે.

આ લાગ જોઈને શત્રુઓ ધસી આવ્યા અને ભાલાથી એ વીર યુવકના શરીરને વીંધી નાખ્યું.

સ્વામીની મંગળકામના ક૨તી સોન હજુ ચોરીમાંજ બેઠી હતી, એટલામાં રાખાપતની સહાય અર્થે ગયેલા લોકો પાછો આવ્યા, પણ એમની સાથે પતિને નહિ જોતાં એ સમજી ગઈ કે, જરૂર કાંઈ દુર્ઘટના બની છે. એ વિચાર આવતાં જ એ મૂર્ચ્છિત થઈને ચોરીમાં પડી ગઈ. ભાન આવતાં એ બોલી ઊઠી:—

"ચોરી ચિત્રાવેલ જેહ, બાબરિયા ! બાંધી રહી;
અમે કેમ જમીએ કંસાર, બાળકુંવારા બાબરિયા ?”

પિતાના હાથ સામું જોતાં હાથમાં વિવાહ પ્રસંગે પહેરેલો રાતો ચૂડો જોઈ તેને વધારે શોક થયો અને તે બોલી:—

"ચૂડો કંકાવેલ ચોળ, સેંથો લાલગલાલ આ;
રંગમાં થયો રગદોળ, રાખપત રણમાં રહ્યો !”

એટલું કહીને શોકના આવેગમાં તેણે ચૂડો ભોંય પર પછાડ્યો અને તેના ચાર કકડા હાથમાં લઈ ડૂસકાં ભરી બોલીઃ—

"ચૂડી કકડા ચા૨, તેને સરીએ કોઈ સાંધે નહિ,
જડદ્યોને જરા૨, કરમે કંસારી ભણે.”

છેવટે ‘જય અંબે’ની ગર્જના કરી તે સતી થવા ગઈ. રસ્તામાં વરઘોડિયાને પોંખવાના દરવાજાવાળી રામાપોળ આવી. ત્યાં આગળ એક ઢોલીને જોઈ તે વિલાપ કરવા લાગીઃ—