અને સૌંદર્યને જ જુએ છે. તમારે મારા કુળની સાથે શું લાગેવળગે છે ? કન્યા તો મને આપવી છે ને ? હું પોતે જૈનધર્મી છું.”
એ વચનોથી પ્રસન્ન થઈ ઋષભસેને પોતાના પુત્ર સહદેવની સંમતિ લઈ નર્મદાસુંદરીનું લગ્ન મહેશ્વર સાથે કર્યું. નર્મદા જૈન શાસ્ત્રોમાં તથા જૈનધર્મક્રિયાઓ અને સંસ્કારોમાં બહુજ પ્રવીણ હતી. એણે પતિને પોતાના ધર્મનું રહસ્ય સમજાવ્યું. મહેશ્વરદત્ત પહેલાં તો સુંદરીને પ્રાપ્ત કરવા ખાતરજ જૈન ધર્માવલંબી બન્યો હતો, તે હવે સાચો શ્રાવક બન્યો.
સાસરે ગયા પછી નર્મદાસુંદરીનું વર્તન આદર્શરૂપ હતુ. વિનય તથા સેવાથી તેણે સાસરામાં બધાને પ્રસન્ન કર્યા, એટલુંજ નહિ પણ પોતાના જ્ઞાન વડે તેમના ધાર્મિક વિચારો બદલીને પોતાના વિચારને મળતા બનાવ્યા. નર્મદાના આવ્યા પછી એનું ઘર સુખનું ધામ બની ગયું.
એક સમયે સતી નર્મદા સુંદરી ઘરના ઝરૂખામાં બેસીને પાન ચાવતી હતી અને પોતાનું મુખ દર્પણમાં જોતી હતી. દૈવયોગે એના મુખમાંથી પાન પડી ગયું અને નીચે એક જૈન યતિ જતા હતા તેના ઉપર પડ્યું. એને ક્રોધ ઉત્પન્ન થયો અને શાપ દીધો કે, “તું પતિના વિયોગનું દુઃખ પામીશ.” નર્મદાને એ શાપ સાંભળી ઘણો પશ્ચાત્તાપ થયો. એણે યતિની ક્ષમા માગી અને શાપ પાછો ખેંચી લેવા પ્રાર્થના કરી. તેના ઉત્તરમાં યતિએ શાંત થઈને કહ્યું: “હે પુત્રિ ! તું ખેદ ન કર, સાધુઓ કદી શાપ દેતા નથી, કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે, રાગદ્વેષનો ઘાત કરનારા મુનિઓ વંદન કરવાથી પ્રસન્ન થતા નથી અને અપમાન કર્યાથી ખેદ પામતા નથી. તેઓ તો ચિત્તને દમીને જ વિચરે છે. આ તો મેં અકસ્માત્ તારૂં ભવિષ્ય કહ્યું છે. દુઃખ કોઈના કહ્યાથી ઉપર જતું નથી. એ તો દુષ્ટ કર્મોના ફળરૂપેજ વિયોગ આદિ દુઃખ મનુષ્યોને પ્રાપ્ત થાય છે. પૂર્વજન્મનાં કર્મ ભોગવ્યેજ છૂટકો છે, તો પછી એમાં ડાહ્યા માણસે ખેદ ન કરવો જોઈએ.”
આ ઉપદેશથી નર્મદાને કાંઈક શાંતિ વળી. પતિએ પણ પ્રેમપૂર્વક આશ્વાસન–વચનો કહ્યાં, એટલે નર્મદા એ બનાવને વીસરી જઈ પહેલાંની માફક ધર્મકાર્યમાં જીવન વ્યતીત કરવા લાગી.
કેટલોક સમય વીતી ગયો. એ સમયમાં ભારતવર્ષના