કૃષ્ણ
ઇચ્છા ઉઠાવે છે. તે અકલ્યાણકારક ઇચ્છાને પાપી સોબતના મે'ણા અથવા ધમકીનું પીઠબળ હોય છે. એમ આપણે એના ભોગ થઇ પડી બીજું પાપ કરવા તૈયાર થઇયે છીયે.
પૃ.૧૨૯, લી.૧૬ : ભાઇઓની હોડ - એકત્ર કુટુંબનો કર્તાપુરુષ કુટુંબની મિલ્કતનો કેવળ વ્યવસ્થાપક જ નહિ, પણ માલિક; કેવળ મિલ્કતનો જ નહિ, પણ સર્વે કુટુમ્બીઓની શારીરિક સ્વતંત્રતાનો પણ - એ કૃષ્ણકાળમાં સામાજિક સ્થિતિ હતી એવું આ ઉપરથી સમજાય છે. જ્યાં ભાઇઓ પણ મિલ્કતમાં ગણાય ત્યાં સ્ત્રીની પણ એ જ દશા હોય એમાં નવાઇ નથી.
પૃ.૧૩૦, લી.૨૦ : દ્રૌપદીના વર - દ્રૌપદિનું ચરિત્ર એની વરયાચનામાં ઝળકી ઉઠે છે. એના પતિઓએ પુષ્કળ અપરાધ-અધર્મ કર્યો હતો, એના ઉપર સ્ત્રીજાતિ પર આવતું ભારેમાં ભારે સંકટ આણી મૂક્યું હતું, છતાં પણ તેથી એના પતિ પરના પ્રેમમાં એણે ન્યૂનતા ન આવવા દીધી. એ પ્રેમમાં હવે કુતરાના જેવી સ્વામીભક્તિ ન હતી, પણ એક સ્વતંત્ર સ્ત્રીની પતિ માટેની લાગણી હતી. હવે દ્રૌપદી પત્ની - એટલે કે દાસી કે મિલ્કતનો ભાગ- રહી નહિ, પણ મિત્ર બની. પુત્રનું કછોરૂપણું પણ માનો વાત્સલ્યપ્રવાહ રોકી શકતું નથી; દ્રૌપદીની પતિ પ્રત્યેની લાગણી પણ તેવા જ પ્રકારની હતી. પ્રેમની એ જ રીત છે. એક વાર જેને આપણે અંતરથી ચાહ્યો, તે ચાહને એના કોઇ પણ દોષ કે આપણો મોહ તલભાર પણ ઓછો કરે તો એ પ્રેમની કિંમત નથી.