નહિ થાય એ જુદું.’ જયંતકુમારે કહ્યું.
‘ભાભી ખુશ થતાં હોય તો એટલા પાંચસો રૂપિયા...’ બોલવા ગયો ત્યાં તો મને ગુસ્સામાં જયંતકુમારે અટકાવ્યો :
‘રૂપિયાનો સવાલ નથી. પણ આ આખી યોજના ફરી જાય છે એનું શું ?’
‘થોડી ફરે પણ ખરી. એમાં બહુ હરક્ત છે?’ મેં કહ્યું.
‘તમને હિંદીઓને યોજનાની કિંમત જ નથી. એક પણ બાબતની ચોકસાઈ નહિ.’ તેમણે કહ્યું.
‘પણ એમને કહો તો ખરા કે સૂચના કઈ છે? તમારા મિત્ર છે. તમને અને મને સાચી સલાહ આપશે જ.’ જ્યોત્સ્નાગૌરીએ કહ્યું.
‘નકશા વિરુદ્ધ કાંઈ પણ કહેશે તે હું નહિ માનું:મિત્ર હોય તો પણ.’
‘મને ખોટું નથી લાગતું તો પછી મિત્રને તો ખોટું લાગે જ શાનું? છતાં આપણે જગા જોઈએ તો કેવું ?’ જ્યોત્સ્નાગૌરીએ દરખાસ્ત મૂકી.
‘મારો મિત્ર મૂર્ખ નહિ હોય તો મારા મતને મળતો જ થશે.’ જયંતકુમાર બોલી ઊઠ્યા.
‘જુઓ જયંતભાઈ, મૂર્ખાઈ પણ સાપેક્ષ ગુણ છે. હું મૂર્ખાઈમાંથી બિલકુલ બાતલ થવા માગતો નથી. કોઈ વાર મૂર્ખાઈ મને ગમે પણ ખરી...’ મેં કહ્યું.
‘તારે ઘર જોવું છે કે મૂર્ખાઈ ઉપર વ્યાખ્યાન આપવું છે?’ જયંતકુમાર ઊભા થઈ બોલ્યા. મને એક વિચાર આવ્યો. યોજનામાંથી તસુનો પણ ફેરફાર ન કરવાનો આગ્રહ પકડી બેઠેલા મારા મિત્ર શા માટે જ્યોત્સ્નાગૌરીની સૂચના માની મારો અભિપ્રાય માગતા હશે ? મેં જ્યોત્સ્નાગૌરી તરફ જોયું. તેમના મુખ ઉપરની મધુર સરળતા કોઈ દૃઢ નિશ્ચયને તો ઢાંકતી નહિ હોય? જયંતકુમાર અજાણપણામાં દોરવાતા તો ન હતા ?
નવું મકાન પાસે જ બંધાતું હતું. ત્યાં જતાં બહુ વાર ન લાગી.