પૃષ્ઠ:Rasbindu.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરાધીન પુરુષ : ૭
 

જવાબ આપ્યો.

‘તમારું મન એ જ મારું મન. તમે મારી ચિંતા મુકોને !’ જ્યોત્સનાગૌરી બોલ્યાં.

મેં કશો અભિપ્રાય આપ્યો જ નહિ. મને ખાતરી હતી કે આ ઘર ઝરૂખા વગર રહેવાનું નથી. જયંતકુમાર કરતાં જ્યોત્સનાગૌરીમાં મને વધારે શક્તિનું ભાન થયું.

ઘર તૈયાર થયા પછી મને આમંત્રણ ઉપર-આમંત્રણ આવવા લાગ્યાં. તેમને ત્યાં થોડા દિવસ રહ્યા વગર મારે છૂટકો ન હતો. એક સંધ્યાકાળે હું તેમના નવા ઘરમાં જવા માટે નીકળ્યો. ઘર પાસે આવ્યો ત્યારે સંધ્યાકાળનું અંધારું ઘરના થોડા ભાગને અસ્પષ્ટ બનાવતું હતું. એ અસ્પષ્ટ ભાગમાંથી એક ઝરૂખો આગળ નીકળી આવેલો મેં જોયો. બગીચાના આછા અંધકારમાં હતો એટલે મારા પ્રવેશનો ખ્યાલ નોકર સિવાય કોઈને આવ્યો નહિ. ઘરના અંદરના ભાગમાં પેસવા કરતાં હું પહેલો બહાર પાડતા ઝરૂખા તરફ વળ્યો. એ ઝરૂખામાં એક પુરુષ અને એક સ્ત્રી સાથે ઊભેલાં દેખાયાં.

આવી સ્થિતિમાં આપણી આંખ ચોર બની જાય છે. બીજે બધે દીવા થવા લાગ્યા, માત્ર ઝરૂખામાં અંધકાર રહ્યો. છતાં મેં જયંતકુમાર અને જ્યોત્સનાગૌરીને સાથે ઊભેલાં ઓળખી કાઢ્યાં. એટલું જ નહિ, જયંતકુમારના નિયમિત જીવનમાં કદી ન કલ્પી શકાય એવી અનિયમિતતા પણ મેં જોઈ. જયંતકુમાર પોતાના હાથમાં જ્યોત્સનાગૌરીનો હાથ પકડી રહ્યા હતા !

અમે માનતા હતા કે અમારા આ કડક મિત્રનો પ્રેમ–ઉપચાર પણ બહુ જ વ્યવસ્થિત, નિયમિત, ઠરેલા કાર્યક્રમ પ્રમાણે ઘડિયાળના ટકોરાથી દોરાતો હોવો જોઈએ. જયંતકુમાર જેવા યંત્ર સરખાં સ્વચ્છ અને નિયમિત પુરુષ પત્નીનો હાથ પકડતા પહેલાં સાબુ અને જંતુનાશક દવાઓથી પોતાના અને પત્નીના હાથને સ્નાન કરાવતા હોવા જોઈએ.