પૃષ્ઠ:Rasbindu.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહાન લેખક : ૧૬૭
 

સનાતને આયનામાં નજર નાખી પોતાની મહત્તાને પિછાનવા માંડી !

એને શાંતિભરી નિદ્રા આવવા લાગી.

પરંતુ એક સારી નિદ્રાભરી રાતને અંતે પ્રભાતમાં આવેલી થોકડાબંધ ટપાલ ઉકેલતાં એક માસિકે સનાતનની મહત્તાને ઉતારી પાડવા પ્રયાસ કર્યો. એ માસિકે લખ્યું: ‘સનાતનની કવિતા જુનવાણી માનસ તરફ ઢળે છે !’

સનાતનની ભમર ઊંચકાઈ પ્રગતિને મોખરે રહેનાર સનાતનને જુનવાણી કહેનાર પણ કોઈ નીકળ્યો ખરો !

પંદર દિવસે બીજા માસિકે લખ્યું : ‘સનાતનના પત્રો નિર્માલ્ય સજજનતાના પ્રતીક છે. તાકાત હોય તો દુષ્ટતા આવે ને ?’

સનાતને જોરદાર અને અનીતિભર્યાં પત્રોની રચના કરી. એક અવલોકનકારે જાહેર વ્યાખ્યાનમાં કહ્યું: ‘આવાં નિર્લજજ પાત્રો અને નફ્ફટ વર્ણનો સનાતનની કલમે ચીતરવા માંડ્યાં છે એ નવાઈ જેવું છે. એમનું અંતઃકરણ તથા એમની કલમ ફિનાઈલમાં બોળાય તો ઠીક.’

સનાતનની નિદ્રા જરા અસ્વસ્થ બની. પ્રભુને–કુદરતને એણે કારણ પણ પૂછ્યું. એને જવાબ મળ્યો: ‘ટીકા થાય એ મહત્તાનું ચિહ્ન છે. તારે મહાન બનવું હોય તો વિરુદ્ધ વિવેચનો સાંભળવાં જ જોઈએ.’

મહાન બનવાની લાલસામાં–કે મહાનપણું ચાલુ રાખવાની આકાંક્ષામાં સનાતને ટીકાઓ પ્રત્યે ઉપેક્ષા સેવવા માંડી.

પરંતુ એ જેમ જેમ લખતો ગયો તેમ તેમ એના ઉપર વધારે ટીકા થવા માંડી. એના મુખ ઉપર એક કરચલી પડી. એ કાયમ થઈ ગઈ.

એક રાત્રે એણે મહત્તાનો ભંડાર પાછો ઊઘડેલો જોયો. કોણ કહેતું હતું કે એક કીર્તિસ્તંભ સનાતન માટે ઊભો થતો હતો ? અને એટલામાં ?...

દયારામ ડગમગતા દેખાયા ! પ્રેમાનંદ વ્યગ્ર કેમ હતા? પણે શેક્સપિયરના કીર્તિસ્તંભ પાસે શાની મારામારી થતી હતી ?