રંગને એણે નિહાળ્યો. મહત્તાની હાડમારીમાં પચાસ વર્ષ વીતી ગયાં ? બીજી બે કરચલી એના મુખ ઉપર રચાઈ હતી.
એણે મહત્તા માગી હતી. એ મહત્તા ખંડેર ન બને એવું ક્યાં માગ્યું હતું ? અને માગ્યું હોય તો તે સદા ય મળે પણ ક્યાંથી?
માનવી સ્વપ્રશંસાથી સદા ય વિરુદ્ધ જ હોય છે. પરંતુ સહુનો આગ્રહ અને પરાયા આગ્રહને વશ થવાની સરળતા, નમ્રતા અને વિવેક માનવીમાં ન હોત તો કેટકેટલા મહોત્સવો વગર જીવન ઝાંખું બની ગયું હોત ?
સનાતનનો વિરોધ શમી ગયો.અને ઉત્સવ ઊજવાયો. એના મહાન લેખકપણાને ચારે પાસથી અંજલિઓ અરપાઈ–ટીકાકારો તરફથી પણ.અને સનાતને બહુ જ નમ્રતાપૂર્વકની બિસ્મિલની ગઝલમાં જવાબ આપ્યો :–
‘હમારી ખાનાબરબાદી
જો પૂછે તો, અય બિસ્મિલ
હથેલી પર જરાસી ખાક રખના
ઔ૨ ઉડા દેના !’
સહુએ આ મહાન લેખકની મહાન નમ્રતા ઉપર તાળીઓ પાડી. ફૂલહાર લઈ ઘેર જતાં જતાં સનાતને ખરેખર ધૂળની ચપટી હથેલીમાં મૂકી એને ફૂંક મારી.
‘મારી મહત્તા આટલી જ ?’ સનાતને પોતાના મનમાં કહ્યું. અને નમ્રતાનો એક ઉગ્ર ભાવ અનુભવ્યો.
આખી સૃષ્ટિ ખડખડાટ હસી ઊઠી. સનાતન ચમક્યો. એને એ હાસ્ય પાછળ એક આકાશવાણી સંભળાઈ :
‘શો આ ઘમંડી માનવી ! ધૂળ સાથે પોતાને સરખાવી મહત્તા લે છે !’
અને સનાતનના હદયમાંથી એક પુકાર ઊઠ્યો :
‘પ્રભુ ! મને આપેલું વરદાન પાછું ખેંચી લે. મારે મહાન નથી બનવું.’