પૃષ્ઠ:Rasbindu.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦ : રસબિન્દુ
 

તેમને બોલતા અટકાવી પ્રહારે ચંડેલા શૂર પતિએ કહ્યું :

‘સ્ત્રી તારી છે કે મારી ? તું કેમ વચ્ચે આવે છે ?’

‘એ સ્ત્રી તમારી છે એવો કહે તો દસ્તાવેજ હું લખી આપું. મારામારી પણ જરા શાંતિથી વ્યવસ્થાપૂર્વક થાય તો મને અડચણ નથી. સૈનિક પણ મરતાં મરતાં તાલ ચૂકતા નથી. આ તો...’

‘પણ પારકી પંચાત તારે કરવાનું કોઈ કારણ?’ શૂરવીર પતિદેવે યુદ્ધની નીતિઘોષણ ઉચ્ચારી અને ભેગી થઈ ગયેલી જનતાએ એ ઘોષણા ઉપાડી લીધી. પત્નીને માર મારવો એ સારું કામ છે કે નહિ એ પ્રશ્ન બાજુએ મુકાયો. પરંતુ પતિ પત્નીની મારામારીમાં ત્રીજા માણસને પડવાનો અધિકાર નથી એ સિદ્ધાંત સર્વાનુમતે સ્વીકારાયો; અને સારંગધરે પાછાં પગલાં ભરી કોઈ બેસૂરું વાદ્ય સાંભળ્યાનો ભયંકર કચવાટ અનુભવ્યો. ઉપરથી એક નવી વાત ઉમેરાઈ તે જુદી ! સારંગધર અને ક્ષત્રિકુલશોભન પતિ વચ્ચે ઝઘડો થયાનું કારણ માર ખાનાર પત્ની પ્રત્યેની સારંગધરની મીઠી દૃષ્ટિ પણ હોય, એવી વાત શરૂ થઈ. હોયમાંથી જોતજોતામાં ‘છે’ અને ‘છે’ જની કક્ષાએ પણ વાત આવીને ઊભી !

‘પંડિતજી ! જરા ઠંડાઈ પી લો; શાંતિ વળશે.’ એક મળવા આવેલા ઉસ્તાદે અશાંત સારંગધરને સલાહ આપી. સારંગધરને જગતની અશાંતિમાંથી ઊગરવાનો માર્ગ મળ્યો. પવિત્ર પડોશીઓએ વાત કરવા માંડી : ‘સારંગધર ? અંહ ! એ તો ગંજેરીભંગેરી છે !’

સારંગધરે લોકોની વાતનો સામનો કરવા ભાંગ ઉપરાંત ગાંજો પણ શરૂ કર્યો. આસપાસનું ક્લિષ્ટ, મેળ વગરનું, બેસૂરું જીવન એથી ઓછું ખટક્વા લાગ્યું. સંગીતમાં એકાગ્રતા વધતી જણાઈ. સૂર ઉપર હતો એના કરતાં વધારે કાબૂ આવતો લાગ્યો, સંગીત સૃષ્ટિનાં સ્વપ્ન સાચાં બનતાં લાગ્યાં. છતાં આસપાસનું સંગીત રહિત જીવન ખટકતું ત્યારે ઘણા જોરમાં ખટકતું. પ્રભાતમાં ઊઠી સ્વર ભરતા સારંગધરને માટે કોઈ નિદ્રિત ભારતવાસીએ ફરિયાદ પણ કરી છે કે ‘આ કામકાજ વગરનો ગવૈયો અમારી સવારની ઊંધ બગાડે છે !’