પૃષ્ઠ:Rasbindu.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦  : રસબિન્દુ
 

ઉત્સાહ પ્રવેશ્યો, અને જોતજોતામાં તેઓ સંગીતની ઊર્મિ ઉપર ઉછળવા લાગ્યા.

રાગ પૂરો થતાં ‘વાહ !’ નો ઉદ્‌ગાર સારંગધરના કંઠમાંથી નીકળ્યો. સારંગધરનું વાર્ધક્ય અને જીર્ણતા અદૃશ્ય થતાં લાગ્યાં અને ધોળા વાળ છતાં યૌવનની તાજગીભરી રેખાઓ તેમના મુખ ઉપર દેખાવા લાગી. બૈજનાથને લાગ્યું કે સારંગધરને જિવાડવા હોય તો તેમને સંગીતના શુદ્ધ વાતાવરણમાં જ સાચવી રાખવા જોઈએ. અને ખરેખર હજી કેટલીક સંગીતવિશિષ્ટતાઓ સારંગધર પાસે એવી હતી જે બીજા કોઈ પાસે મળે એમ ન હતું.

બૈજનાથે નમન કર્યું અને કહ્યું : ‘મારી બાર વર્ષની તપશ્ચર્યા ફળી. ગુરુ પાસેથી 'વાહ' સાંભળી ! એની કિંમત મને મળેલા લાખો રૂપિયા કરતાં વધારે છે.’

‘વધારે તો શાબાશી એ માટે આપું છું કે ગાતી વખતે તું જ રાગની મૂર્તિ બની જાય છે ; જે તારે માટે હું માગતો તે તને મળ્યું.’

‘ના જી. હજી બે ત્રણ બાબતો એવી છે કે જે મારે આપની પાસેથી મેળવવાની છે.’

‘હં ! મારું ગળું હવે જીવે છે જ ક્યાં ?’

‘મૃત ગળામાંથી પણ અમને સજીવન કરતું સંગીત મળી શકશે.’

‘ગીત શરૂ કર. ગળું જવાબ આપશે તો વળી જોઈશ.’

અને બૈજનાથે બીજો રાગ શરૂ કર્યો. એ રાત્રે સારંગધરને વધારે સજીવ અને સચેત બનાવ્યા. જીવંત રાગ ઓરડીમાં ફરવા લાગ્યો અને સંગીતે ઓરડીની જીર્ણતા ભુલાવી. ઓરડીમાં શાલેમારબાગની શોભા, પારિજાતની સૌરભ અને મેઘધનુષ્યના રંગની મેળવણી વિસ્તારી.

ગાતાં ગાતાં આંખની ઇશારતથી બૈજનાથે દર્શાવ્યું કે આની આગળની વિશિષ્ટતા સારંગધર કૃપા કરી તેને બતાવે.

‘જો હવે આમ પલટો લે.’ કહી સારંગધરે ગળાની આછી રમત કરી બતાવી.

બૈજનાથે એ રમત ગ્રહણ કરી તેનું તત્કાળ અનુકરણ કર્યું.