બંધાવી પૂજા કરવી.
બિલાડીના પંજામાં ઉંદર રમે તેમ કાન્તાની જાળમાં રમતો હું સ્થળ, સમય અને સ્થિતિનું ભાન ભૂલી જ ગયો હતો ! કયાં રહ્યો, ક્યાં જમ્યો, તેનું મને ભાન પણ રહ્યું નથી.
બીજે દિવસે કાન્તાએ મને હુકમ કર્યો : ‘ચાલો; કચેરીમાં જવાનું છે.’
ત્યારે મારા પગ ધ્રૂજી ઊઠ્યા.
‘મારે કયા ગુના માટે કચેરીમાં જવાનું છે?’ મેં પૂછ્યું.
‘કેમ? લગ્ન નોંધાવવું પડશે ને?’
‘નોંધાવવાનું ? હું તો હિંદુ છું.’
‘જે હો તે. અત્યારે તો આપણે એકે ય ધર્મ પાળતાં નથી એમ કહી ઐહિક લગ્ન નોંધાવવાનું છે. તમે યોગ્ય પુરવાર થશો તો પછી આપણે ધર્મવિધિથી પરણશું.’
‘અરે, પણ મને એક વખત કહો તો ખરાં કે આ શાની સતામણી તમે માંડી છે ?’
‘આવો; કારમાં હું તમને બધી હકીકત સમજાવું. તમને ખાતરી થશે. કે એક ભયંકર સતામણીમાંથી ઊગરવા હું આ બધું કરી રહી છું.’
કારમાં તેણે જે વાત કહી તેનાથી હું ચોંકી ગયો. માત્ર એણે વાતનાં પાત્રોનાં નામ કહ્યાં. વર્તમાન જગતનાં રાજ્યો કાયદાની સત્તા વિષે વાત કરી અભિમાન લે છે; પરંતુ રાજ્ય સત્તા અને કાયદા ઉપર ધનની ચૂડ કેટલી જબરદસ્ત વળગેલી છે તેનો ખ્યાલ આજ સુધી મને આવ્યો ન હતો.
કચેરી આવતાં કાન્તાએ વાત પૂરી કરી અને ગાડી થોભાવી. એણે કહેલી વાત પરથી મને લાગ્યું કે ભોમાસુરના કેદખાનામાં સપડાયલી સોળ હજાર યુવતીઓને છોડાવી પરણી જવામાં કૃષ્ણે એક મહાન કાર્ય કર્યું હતું !
મેં વીરત્વના આવેશમાં કાન્તાને કહ્યું પણ ખરું કે, ‘આવાં