બેઠી છે. લડવયા ગુલતાનમાં ચડી ગયા છે. આખરે લાજ-મરજાદને છોડીને એણે આતાભાઈને કાગળ લખ્યો.
રાજમહેલમાં ઠાકોર અને રાણી હીંડોળાખાટે હીંચકે છે. આસમાનમાં આદમની ચાંદની છોળે છોળે રેલી રહી છે. સુગંધી સુરાની પ્યાલીઓ ભરી ભરીને ‘મારા સમ – જીવના સમ’ દેતી રાણી ઠાકોરને પિવાડે છે. તે વખતે દરવાજે આવીને ખેપિયાએ સાંઢ ઝોકારી, બાનડીએ આવીને ઠાકોરના હાથમાં ચિઠ્ઠી મૂકી.
ચિઠ્ઠીમાં એક જ વેણ લખેલું :
'એ ઠાકોર, અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ?’
ઠાકોર રોષે ભરાણા. આટલી હદે ! ભા' ગમે તેવો તોયે મારો ચાકર. એણે રાણીને મે'ણું દીધું.
પતિના મોંનો રંગબદલો રાણી પારખી ગઈ. એણે પૂછ્યું : “શું છે?”
“વાંચો આ કાગળ.”
રાણીએ વાંચ્યું : 'એ ઠાકોર, અફળ ઝાડવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ?’ વાંચતાં જ રાણીને ભાન આવ્યું.
ઠાકોરનો હાથ ઝાલી કહ્યું: “ઊઠો ઊઠો ઠાકોર ! શું બેઠા છો? ભા'નો કાગળ વાંચ્યા પછીયે બેસવું કેમ ગમે છે? ઊઠો, હથિયાર બાંધો, ઘોડે ચડો અને ઝટ તળાજા ભેગા થાઓ.”
"પણ રાણી, ભા' આવું લખે?”
"હા, હા, એવું જ લખે. એનો અક્ષરેઅક્ષર સાચો. હું તો અફળ ઝાડવું: મારે પેટ સવાશેર માટી સરજાણી નથી. ઊઠો, ઠાકોર !”
નોમને પ્રભાતે સૂરજદેવે સાગરના હૈયા ઉપર કોર કાઢી અને તળાજાને પાદર દેકારો બોલ્યો. ઠાકોર આવવાની