“રજપૂતાણીએ.”
“શાબાશ દીકરી ! મારા રાજાને સાવજ બનાવીને મોકલ્યો. મોરલીધરનું નામ લઈને લડો – ફતેહ આપણી છે.”
"ભા’, આજ તો તમે જુઓ, ને હું ઝૂઝું. આજ પારખું લ્યો” એટલું બોલીને આતોભાઈ ખાંડાના ખેલ માથે મંડાણો.
સૂરજ મહારાજની રૂંઝો વળી, ધૂળિયા કોઠા ઉપર ‘ખોડિયાર’નો નેજો ચડી ગયો.
ભા’ દેવાણીને મંદવાડ છે. દરદ ભેળાતું જાય છે. ભાવનગરના વૈદો-હકીમોની કારી ફાવતી નથી. ઠાકોર આતાભાઈ દરરોજ આવીને પહોર-બે પહોર સુધી ભા’ની પથારી પાસે બેસે છે.
એમ કરતાં આખરનો દિવસ આવી પહોંચ્યો. ભા’ સહુને ભળભળામણ દેવા મંડ્યા.
“ભા,” ચાકરે આવીને સમાચાર દીધા. “વણાવાળાં મા મળવા પધાર્યા છે.”
નબળાઈને લીધે ઢગલો થઈ પડેલા તેમ છતાંયે ભા’ બેઠા થયા. દીકરાઓના ટેકણ કરીને આસન વાળ્યું.
“માને પધરાવો. આડો ઢોલિયો ઊભો રાખીને માને બેસાડો.”
વણાવાળાં રાણી આવીને પલંગની પાટી આડાં બેઠાં. ખબર-અંતર પૂછ્યા.
“માતાજી!” ભા’એ બોલવા માંડ્યું. “તમે તો મારી માવડી છો. મારે તમારી માફી માગવાની રહી છે.”
“માફી શેની ભા’ ?”
"યાદ નથી, માડી? તળાજું ભાંગ્યું તે વખતના ઠાકોરના કાગળમાં મેં તમને એબ આપેલી.”