નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે ! કાંઈ મીઠા મરશિયા ગાય છે ! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ !
કોઈને મીઠે ગળે ધૂળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરતીને ચકડોળે ચડાવે, કોઈ હાલરડાં ગાઈને નખ્ખેદમાં નખ્ખેદ છોકરાંનેય છાનાં રાખી ઊંઘાડી દે. પણ આ ચારણીને તો રોવાનો ઇલમ હાથ પડી ગયેલો. સાંભળનારને સાચેસાચ મરીને પોતાના નામને એના કંઠમાં ઉતરાવવાનું મન થાય. |
“નાગાજણ ! નાગાજણ ! તું ભાગ્યશાળી છે, હો ! તારી અસ્ત્રી જે દી તારા નામના મરશિયા બોલશે, તે દી તો કાંઈ ખામી નહિ રહે. કાચાપોચાની છાતી તે દી ઝીલશે નહિ.”
નાગાજણને વિચાર ઊપડ્યો: “સાચી વાત. હું મરીશ તેદી મારા મરશિયા સહુ સાંભળશે, ફક્ત હું જ નહિ સાંભળું. એમ તે કાંઈ થાય? એ હિલોળો માણ્યા વિના તે કાંઈ મરી જવાતું હશે?”
“હું આજ ગામતરે જાઉં છું. આઠે જમણે આવીશ.” એમ કહી નાગાજણ ચાલી નીકળ્યો. દિવસ આથમવા ટાણે અંધારામાં પાછો આવીને ખોરડાની પછીતે સંતાઈને બેસી ગયો. માણસે આવીને ચારણીને સમાચાર દીધા : “બોન, તારાં કરમ ફૂટી ગયાં. સીમાડે નાગાજણને કાળો એરૂ આભડ્યો. એના પ્રાણ નીકળી ગયા.”
ધીમે ધીમે ચારણીના દિલમાં વિયોગનું દુઃખ જેમ જેમ ઘુંટાતું ગયું, તેમ તેમ એ મરશિયા ગાતી રોવા લાગી.
૧૧૪